13 October, 2012 06:13 AM IST |
નવી દિલ્હીમાં ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહના ઘરની બહાર હાઈ-ડ્રામા સર્જાયો હતો. કેન્દ્રીય કાયદાપ્રધાન સલમાન ખુરશીદની એનજીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તેમની ધરપકડ અને રાજીનામાની માગણી સાથે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના સભ્યોએ વડા પ્રધાનના ઘરને ઘેરવાનો પ્રયાસ કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી (આરવીપી)ના શારીરિક રીતે અક્ષમ એવા સંખ્યાબંધ સભ્યો પણ જોડાયા હતા. કેજરીવાલ તથા ૧૦૦ જેટલા ઍક્ટિવિસ્ટોએ વડા પ્રધાનના ઘર તરફ કૂચ કરી હતી.
પોલીસે કેજરીવાલ ઉપરાંત આઇએસીના અન્ય ટોચના સભ્ય ગોપાલ રાય અને મનીષ સિસોદિયાની પણ અટકાયત કરી હતી. પોલીસ સાથેની ઝપાઝપી દરમ્યાન કેજરીવાલનો શર્ટ પણ ફાટી ગયો હતો.
ખુરશીદની એનજીઓ સામે સરકારી ફન્ડ મેળવવા માટે અધિકારીઓ તથા શારીરિક રીતે અક્ષમ લોકોની બનાવટી સહીઓ મેળવવામાં આવી હોવાનો આક્ષેપ છે.
એનજીઓ = નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન