મચ્છલ બનાવટી એન્કાઉન્ટર કેસમાં 7 સૈન્યકર્મીઓને આજીવન કારાવાસ

13 November, 2014 07:51 AM IST  | 

મચ્છલ બનાવટી એન્કાઉન્ટર કેસમાં 7 સૈન્યકર્મીઓને આજીવન કારાવાસ




નવી દિલ્હી : તા, 13 નવેમ્બર

30 એપ્રિલ 2010માં જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જીલ્લામાં મોહમ્મદ શફી, શહજાદ અહમદ અને રિયાઝ અહમદને પૈસા અને નોકરીની લાલચ આપીને સરહદી મચ્છલ વિસ્તારમાં ઠાર કરવામાં આવ્યા હતાં. ત્રણેયને પાકિસ્તાની આતંકવાદી ઠરાવી ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાના પ્રયત્નમાં ઠાર કરવામાં આવ્યાનું કારણ આપવામાં આવ્યું હતું. હકીકતમાં ત્રણેય મૃતક જમ્મૂ-કાશ્મીરના બારામુલા સેક્ટર સ્થિત નદિહલના રહેવાસી હતાં.

સૈન્ય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આ એન્કાઉન્ટર બાદ રાજ્યમાં સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી હતી અને લોકોની સૈન્ય સાથે અથડામણ થઈ હતી. જેમાં લગભગ 110 લોકોના મોત થયા હતાં.

મૃતકોના પરિજનોની ફરિયાદના આધારે જમ્મૂ-કાશ્મીર પોલીસે ટેરિટોરીયલ આર્મીના એક જવાન અબ્બાસ અને અન્ય બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં અબ્બાસે 4 રાજપૂત રેજીમેન્ટના મેજનર ઉપિંદરની સામેલગીરી કબુલી હતી. પોલીસે પોતાના રિપોર્ટમાં મેજર પર ત્રણ લોકોની હત્યા નિપજાવવા સ્થાનિય લોકોની મદદથી ષડયંત્ર રચવું, તેમને ત્રાસવાદી ગણાવવા સહિતના આરોપો લગાવ્યા હતાં.

કોર્ટ માર્શલની કાર્યવાહીમાં ચાર રાજપૂત રેજીમેન્ટના કર્નલ ડી કે પઠાણિયા, કેપ્ટન ઉપેન્દર સિંહ, સુબેદાર સતવીર સિંહ, હવાલદાર વીર સિંહ, સિપાહી ચંદ્રભાણ, નાંગેદ્ર સિંહ અને નરિંદર સિંહને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત તમામને સેવામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા અને તેમને સેવા નિવૃત્તિ બાદ મળતા લાભો પણ રદ્દ કરવામાં આવ્યા હતાં.