30 May, 2025 07:37 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
જગદ્ગુરુ રામભદ્રાચાર્ય, આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી
ભારતીય સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચિત્રકૂટ જઈને જગદ્ગુરુ રામભદ્રાચાર્ય પાસેથી ગુરુદીક્ષા લીધી છે. ઑપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની બહાદુરી જોઈને પહેલેથી જ ધ્રૂજી રહેલું પાકિસ્તાન જગદ્ગુરુ રામભદ્રાચાર્યની ગુરુદક્ષિણાની માગણી સાંભળીને ચોંકી શકે છે.
ઉપેન્દ્ર દ્વિવેદી તેમનાં પત્ની સાથે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ આશ્રમ પહોંચ્યાં હતાં. આ દરમ્યાન તેમણે સદ્ગુરુ આઇ હૉસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપેન્દ્ર દ્વિવેદીએ પત્ની સાથે જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી આશીર્વાદ લઈને ગુરુદીક્ષા લીધી હતી. ગુરુદીક્ષા આપતી વખતે રામભદ્રાચાર્યએ સેના પ્રમુખને એક રામમંત્ર આપ્યો હતો. જોકે દીક્ષા આપ્યા પછી જગતગુરુએ ઉપેન્દ્ર દ્વિવેદી પાસે ગુરુદક્ષિણામાં PoK માગી લીધું હતું.
દીક્ષા આપ્યા પછી જગદ્ગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે ‘મેં ઉપેન્દ્ર દ્વિવેદીને એ જ ગુરુમંત્રની દીક્ષા આપી છે જે માતા સીતાએ ભગવાન હનુમાનને લંકા દહન પહેલાં આપ્યો હતો. આ પછી જ તેમણે લંકા જીતી લીધી. હવે મેં તેમની પાસેથી દક્ષિણા માગી છે કે મને પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (PoK) જોઈએ છે. મને તેમનું સન્માન કરવામાં ખૂબ ગર્વ થયો છે.’