૩૨૩ નક્સલવાદીઓને નાથવા ૭૦૦૦ની ફોજ

07 December, 2011 09:47 AM IST  | 

૩૨૩ નક્સલવાદીઓને નાથવા ૭૦૦૦ની ફોજ



સમગ્ર દેશનાં નક્સલવાદીઓથી પ્રભાવિત ક્ષેત્રોમાં હાલ હિંસાની આગ ભડકી છે. મહારાષ્ટ્રના ગડચિરોલી તથા ગોંદિયા વિસ્તારમાં પણ ૩૨૩થી વધુ નક્સલવાદીઓ કાર્યરત હોવાથી સશસ્ત્ર જવાનો તથા નાગરિકોના માથે ભયનાં વાદળો છવાયાં છે. ૨ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર દરમ્યાન માઓવાદીઓની પાર્ટી પીપલ્સ લિબરેશન ગેરીલા આર્મી દ્વારા ઊજવાતા સપ્તાહ દરમ્યાન હિંસાની ઘટનાઓમાં બહુ વધારો જોવા મળ્યો હતો. વળી ગયા સપ્તાહે માઓવાદી નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીની હત્યાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે એટલે આગામી સપ્તાહ દરમ્યાન મળનારા રાજ્ય વિધાનસભાના સત્ર દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા પણ નકારી શકાતી નથી. નાગપુરના સત્ર પહેલાં આવું કોઈ પણ કાવતરું ખુલ્લું પાડવા ગોંદિયા તથા ગડચિરોલીનાં ગાઢ જંગલોને ૭૦૦૦થી વધુ પોલીસ તથા સ્પેશયલ કમાન્ડો સહિતની સેન્ટ્રલ પૅરામિલિટરી ર્ફોસ ખૂંદી રહી છે.

નાગપુરમાં પણ ૯૦૦૦થી વધુ સુરક્ષા-જવાનોનો કાફલો તહેનાત છે. એક ઉચ્ચ પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘લોકલ પોલીસ ઉપરાંત  સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ર્ફોસ)ની પાંચ બટૅલ્યન, કોબ્રા સ્પેશ્યલ ર્ફોસની એક બટૅલ્યન તથા સી-૬૦ લોકલ કમાન્ડો

ર્ફોસના ૬૦૦ જવાનોનો સમાવેશ છે. આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ર્ફોસની ૧૦ કંપનીઓને નક્સલવાદીઓથી અસરગ્રસ્ત વિસ્તારમાં ગોઠવવામાં આવી છે. ગડચિરોલીમાં અવકાશી હુમલા તથા મેડિકલ ઇમર્જન્સી માટે હેલિકૉપ્ટર રાખવામાં આવ્યાં છે. સિક્યૉરિટી ર્ફોસની બૉમ્બ ડિટેક્શન તથા ડિસ્પોઝલ સ્ક્વૉડ સહિત બુલેટપ્રૂફ તથા માઇનપ્રૂફ વેહિકલોનો પણ આ ઑપરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.’