અણ્ણાએ બન્ને બાજુ બાથ ભીડી

05 October, 2011 07:56 PM IST  | 

અણ્ણાએ બન્ને બાજુ બાથ ભીડી

 

આ ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી શરૂ થાય એ પહેલાં લખનઉમાં ચાર દિવસના અનશન કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી. બીજી બાજુ અણ્ણાએ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર સંજીવ ભટ્ટની ધરપકડ કરીને મોદીએ ભૂલ કરી છે.

અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘હરિયાણાના હિસાર લોકસભા મતવિસ્તારની ચૂંટણી ૧૩ ઑક્ટોબરે છે. બીજેપીના અધ્યક્ષ નીતિન ગડકરી સહિત જનલોકપાલ બિલને સમર્થન આપતા તમામ નેતાઓ મને પત્ર લખી ચૂક્યા છે. કૉન્ગ્રેસના એક પણ નેતાએ હજી સુધી મને આ વિશે પત્ર લખ્યો નથી. જો મને દશેરા સુધીમાં તેમના તરફથી લેખિત સમર્થન નહીં મળે તો હું લોકોને કૉન્ગ્રેસના ઉમેદવારને મત ન આપવા વિનંતી કરીશ.’

હઝારેએ દેશમાં તાજેતરમાં પાંચ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવાનું કહ્યું હતું.

કૉન્સ્ટેબલ કે. ડી. પંથ પાસે બળજબરીપૂર્વક ગુજરાત સરકાર વિરુદ્ધ સોગંદનામું કરાવવાના આરોપસર આઇપીએસ ઑફિસર સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અણ્ણા હઝારેએ કહ્યું હતું કે સંજીવ ભટ્ટના સોગંદનામાનો કેસ સુપ્રીમ ર્કોટમાં છે ત્યારે નરેન્દ્ર મોદીએ તેમની ધરપકડ કરીને ભૂલ કરી છે. અણ્ણાએ કહ્યું હતું કે સંસદીય સમિતિની જનલોકપાલ બિલ પરની ચર્ચા આ મહિનામાં પૂર્ણ થઈ જશે ત્યારે જો કૉન્ગ્રેસશાસિત કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં જનલોકપાલ બિલ પસાર નહીં કરે તો તેમણે બીજી વખત દેશ સાથે છેતરપિંડી કરી હોવાનું ગણાશે.

અણ્ણાએ કહ્યું હતું હતું કે અમે લોકોએ કોને મત આપવો એ વિશે પ્રચાર નહીં કરીએ, પરંતુ કૉન્ગ્રેસના ઉમેદવારોને મત ન આપવા સમજાવીશું. આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને બીજેપી સાથે જોડાયેલા હોવાનો આક્ષેપ અણ્ણા પર અવારનવાર થતો રહે છે ત્યારે આ વિશે તેમણે કહ્યું હતું કે ‘હું આરએસએસ અને બીજેપી સાથે ક્યારેય જોડાયેલો નહોતો. હું તેમની એક પણ બેઠકમાં આજ સુધી ક્યારેય હાજર રહ્યો નથી.’

૧૫ ઑક્ટોબરથી રાષ્ટ્રના પ્રવાસે?


સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘હાલ સમગ્ર રાષ્ટ્રનો પ્રવાસ ખેડવા માટેની તૈયારી ચાલી રહી છે. આ ટૂર ૧૫ ઑક્ટોબરથી શરૂ થાય એવી સંભાવના છે.’

પીએમ ૨જી મામલે સ્પષ્ટતા કરે

અણ્ણા હઝારેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વડા પ્રધાન મનમોહન સિંહે ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ અંતર્ગત તેમના પર મૂકવામાં આવેલા આક્ષેપો વિશે સ્પષ્ટતા કરવી જોઈએ. આ મામલે તેમણે અગ્નિપરીક્ષાનો સામનો કરવાનો છે.’

લોકાયુક્તના વિવાદ વિશે શું કહ્યું?

અણ્ણા હઝારેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જનલોકપાલ બિલ પસાર થતાંની સાથે તમામ રાજ્યોમાં લોકાયુક્ત ફરજિયાત બની જશે. આ સાથે ગુજરાતમાં લોકાયુક્તનો વિવાદ પણ શાંત પડી જશે.’

કમનસીબ નિર્ણય : કૉન્ગ્રેસ

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ ગઈ કાલે કહ્યું હતું કે જો જનલોકપાલ બિલ શિયાળુ સત્રમાં પસાર કરવાની મને સરકાર તરફથી દશેરા સુધીમાં લેખિત બાંયધરી નહીં મળે તો હું કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવાનું શરૂ કરીશ. આ વિશે પ્રત્યાઘાત આપતાં કૉન્ગ્રેસના પ્રવક્તા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે ‘અણ્ણાએ શિયાળુ સત્ર સુધી રાહ જોવી જોઈએ. કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવાનો તેમનો નર્ણિય કમનસીબ છે.’ કેન્દ્રીય કાયદાપ્રધાન સલમાન ખુરશીદે ગઈ કાલે કહ્યું હતું કે જનલોકપાલ બિલ શિયાળુ સત્ર દરમ્યાન સંસદમાં પસાર કરવામાં આવશે.