21 December, 2016 06:48 AM IST |
શરૂઆતમાં ડીમૉનેટાઇઝેશનને ટેકો આપનારા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ હવે વલણ બદલતાં એમ કહે છે કે નોટબંધીની જાહેરાતને ૪૦ દિવસ પૂરા થયા છતાં હજી એ બાબતની લોકોની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો.
ગઈ કાલે વિજયવાડામાં તેલુગુ દેસમ પક્ષના સંસદસભ્યો અને વિધાનસભ્યોની એક દિવસની કાર્યશાળાને સંબોધતાં ચંદ્રબાબુએ જણાવ્યું હતું કે ‘આપણે ડીમૉનેટાઇઝેશન નહોતા ઇચ્છતા, પરંતુ હજી સુધી એ બાબતની મુશ્કેલીઓ પડી રહી છે. એ મુશ્કેલીઓનો કોઈ ઉકેલ હાથવગો નથી. હજી એ નાજુક અને જટિલ સમસ્યા છે.’
ડીમૉનેટાઇઝેશન બાબતના મુદ્દાના અભ્યાસ માટેની ૧૩ સભ્યોની સમિતિના વડા ચંદ્રબાબુ નાયડુ ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની હાઈ-વૅલ્યુ કરન્સી નોટ્સ રદ કરવાની તરફેણમાં હતા. ચંદ્રબાબુએ એવી માગણી કરી હતી અને તેમણે એ માગણીનો પુનરુચ્ચાર કરતો પત્ર ૧૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો.