20 April, 2025 11:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં હેલ્ધી લિવર-હેલ્ધી ઇન્ડિયા કાર્યક્રમમાં બોલતા અમિત શાહ.
ગઈ કાલે વર્લ્ડ લિવર ડે પર ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિયરી સાયન્સ દ્વારા આયોજિત હેલ્ધી લિવર-હેલ્ધી ઇન્ડિયા કાર્યક્રમમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે યુવાઓને સ્વાસ્થ્યને લગતી ટિપ્સ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારા જીવનમાં મેં ઘણું મોટું પરિવર્તન કર્યું છે. શરીરને જેટલી જોઈએ એટલી ઊંઘ, શરીરને જેટલું જોઈએ એટલું પાણી અને શરીરને જોઈએ એવો આહાર તેમ જ નિયમિત વ્યાયામથી મારા જીવનમાં મેં ઘણું મેળવ્યું છે. આપણા દેશના યુવાનોએ હજી ૪૦-૫૦ વર્ષ જીવીને દેશના વિકાસમાં યોગદાન આપવું હોય તો શરીરને બે કલાકની એક્સરસાઇઝ અને મગજને છ કલાકની ઊંઘ આપવી જરૂરી છે. આ મારો અનુભવ છે. હું તમને જણાવી શકું છું કે સાડાચાર વર્ષના સમયમાં હું આજે લગભગ તમામ ઍલોપૅથિક દવા અને ઇન્સ્યુલિનથી મુક્ત થઈને તમારી સામે ઊભો છું. ૨૦૨૦માં મારા જીવનમાં શિસ્ત લાવવા માટે કોઈ એક મહાત્માના આગ્રહને કારણે મેં નિર્ણય કર્યો અને આ નિર્ણયનો મને ફાયદો થયો છે, જે હું તમારી સાથે શૅર કરવા આવ્યો છું.’