21 June, 2022 08:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
આર્મીએ ગઈ કાલે અગ્નિપથ ભરતી યોજના માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું. આર્મીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ નોકરી મેળવવા ઇચ્છતા તમામ લોકો માટે આર્મીની વેબસાઇટ પર ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ઑનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈથી શરૂ થશે.
આર્મી દ્વારા જાહેર કરવામાં આવેલા આ નોટિફિકેશનમાં ખાસ વાત એ જણાવવામાં આવી છે કે ‘આ યોજના લાગુ થવાની સાથે ઇન્ડિયન આર્મીની રેગ્યુલર કૅડરમાં સૈનિકોની ભરતી માત્ર એ લોકોની જ કરવામાં આવશે કે જેમણે અગ્નિવીર તરીકે ચાર વર્ષ સુધી ફરજ બજાવી હોય, જેમાં મેડિકલ બ્રાન્ચની ટેક્નિકલ કૅડર અપવાદરૂપ છે.’
આર્મીએ જણાવ્યું હતું કે ‘અગ્નિવીરો માટે ઑફિશ્યલ સીક્રેટ ઍક્ટ, ૧૯૨૩ હેઠળ સર્વિસનાં ચાર વર્ષના સમયગાળા દરમ્યાન કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિ કે સૂત્રને આર્મ્ડ ફોર્સિસને સંબંધિત સંવેદનશીલ માહિતી આપવા પર પ્રતિબંધ રહેશે.’