ચોમાસુ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક, 44 પક્ષોએ લીધો ભાગ: સરકાર સમક્ષ મૂકી આ માગણીઓ

21 July, 2024 03:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બેઠકનો મુખ્ય મુદ્દો આગામી ચોમાસુ સત્રમાં સર્વસંમતિ પર પહોંચવાનો હતો, પરંતુ બેઠક દરમિયાન અનેક પક્ષોએ સરકાર સમક્ષ એવા મુદ્દા ઉઠાવ્યા કે ચોમાસુ સત્રને લઈને પક્ષોની માગણીઓ હેડલાઈન્સ બની ગઈ છે

તસવીર: પીટીઆઈ

રવિવારે સરકારે સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક (All-Party Meeting)નું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય મુદ્દો આગામી ચોમાસુ સત્રમાં સર્વસંમતિ પર પહોંચવાનો હતો, પરંતુ બેઠક દરમિયાન અનેક પક્ષોએ સરકાર સમક્ષ એવા મુદ્દા ઉઠાવ્યા કે ચોમાસુ સત્રને લઈને પક્ષોની માગણીઓ હેડલાઈન્સ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સર્વપક્ષીય બેઠકમાં YSRCPએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માગ કરી હતી.

અનેક રાજ્યોને વિશેષ દરજ્જો આપવાની માગણી ઊઠી

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે મીટિંગ બાદ સોશિયલ મીડિયા (All-Party Meeting) પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, “રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે મળેલી સર્વપક્ષીય બેઠકમાં JDU નેતાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી.” YSRCP નેતાએ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જાની માગ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે ટીડીપીના નેતાઓ આ મામલે મૌન રહ્યા. બેઠકમાં બીજુ જનતા દળે રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માગ પણ કરી હતી. જયરામ રમેશે દાવો કર્યો હતો કે બેઠક દરમિયાન બીજેડીએ સરકારને યાદ અપાવ્યું હતું કે ભાજપે તેના 2014ના ઢંઢેરામાં ઓડિશાને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.

બીજેડીએ ઘણી માગણીઓ રજૂ કરી

બેઠક બાદ બીજેડી સાંસદ ડૉ. સસ્મિત પાત્રાએ કહ્યું, “બીજુ જનતા દળ (બીજેડી) વતી અમે સર્વપક્ષીય બેઠક (All-Party Meeting)માં ઘણી માગણીઓ રજૂ કરી છે. ઓડિશા બે દાયકાથી વધુ સમયથી વિશેષ શ્રેણીના દરજ્જાથી વંચિત છે.” બિહાર અને આંધ્રપ્રદેશના રાજકીય પક્ષોએ પણ પોતપોતાના રાજ્યો માટે વિશેષ શ્રેણીના દરજ્જાની માગણી કરી છે. બીજેડીએ ઓડિશા માટે વિશેષ દરજ્જાની માંગ કરી છે. બીજો મુદ્દો ઓડિશા રાજ્ય માટે કોલસાની રોયલ્ટીમાં સુધારો ન કરવાનો છે. અમે કેન્દ્ર પાસેથી ભંડોળના ઘટતા ટ્રાન્સફર અને આ દિશામાં કામ કરવાની જરૂરિયાતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમ જ ઓડિશાના ગવર્નરના પુત્ર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઓડિશા રાજ્યમાં કાયદાનું પાલન થતું નથી. નોંધનીય છે કે ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસના પુત્ર પર રાજભવનના કર્મચારી સાથે મારપીટ કરવાનો આરોપ છે.

YSRCP રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી

સંસદમાં સર્વપક્ષીય બેઠક બાદ YSRCP સાંસદ વિજય સાઈ રેડ્ડીએ કહ્યું, `વાયએસઆરસીપીએ સર્વપક્ષીય બેઠકમાં આઠ મુદ્દા ઉઠાવ્યા છે. અમે આંધ્રપ્રદેશ માટે વિશેષ શ્રેણીનો દરજ્જો માંગ્યો છે. રાજ્યને મળતા ટેક્સમાં વધારો કરવાની પણ માગ કરવામાં આવી છે. અમે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છીએ. દક્ષિણ કોસ્ટ રેલવે ઝોન માટે જમીન ફાળવવી જોઈએ. ઓનલાઈન જુગાર રોકવા માટે યોગ્ય કાયદો બનાવવો જોઈએ. YSRCP સાંસદે આંધ્રપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં બગાડનો આક્ષેપ કર્યો હતો અને કેન્દ્ર સરકારને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી. YSRCPએ કહ્યું કે TDP રાજ્યના મુદ્દાઓ ઉઠાવી રહી નથી અને તેણે સમાધાન કર્યું છે.

congress bharatiya janata party indian government parliament news india national news