23 January, 2020 12:21 PM IST | New Delhi
આર્મી
ગણતંત્ર દિવસ (૨૬ જાન્યુઆરી)ના રાષ્ટ્રીય પર્વ પર સમગ્ર દેશને અલર્ટ કરવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બોર્ડરની સુરક્ષા વધારવામાં આવી છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર બોર્ડર સિક્યૉરિટી ફોર્સને ‘ઑપરેશન સર્દ હવા’ શરૂ કર્યું છે.
તેના માટે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર ૧૫ દિવસ માટે અલર્ટ જાહેર કરી છે. કોઈ પણ રીતે આતંકી હુમલાનો સામનો કરવા માટે બીએસએફ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી છે. ગુપ્ત અહેવાલ મુજબ આ ૨૬ જાન્યુઆરીએ પાકિસ્તાન ૬ રીતે સરહદ પર હુમલો કરી શકે છે.
પાકિસ્તાન આતંકવાદી લોંચ પેડથી મસરુર મોટા ભાઈ દ્વારા અફઘાનિસ્તાન અને તાલિબાની આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે. પાકિસ્તાન રેન્જર્સ આ આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે.
પાકિસ્તાન ડ્રોન દ્વારા હથિયાર પણ મોકલી શકે છે. બીએસએફ સૂત્ર અનુસાર આતંકી કમાન્ડર પાક આર્મી અને આઇએસઆઇની મદદથી પ્રી પ્રોગ્રામ્ડ ડ્રોનનો ઉપયોગ કરી હથિયાર મોકલી શકે છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પંજાબ અને રાજસ્થાનમાં તસ્કરો દ્વારા ખાલિસ્તાન સમર્થકો ૨૬ જાન્યુઆરીના પ્રસંગને વિક્ષેપિત કરવા માટે હથિયારો પહોંચાડી શકે છે.
ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ, અટારી બોર્ડર, હુસેનીવાલ બોર્ડર અને કરતારપુર કૉરિડોર પર અલર્ટ જાહેર કરી છે. બીએસએફએ આ જગ્યાએ સુરક્ષામાં વધારો કર્યો છે. શંકા છે કે ૨૬ જાન્યુઆરીના રોજ ઉજવણીને ખલેલ પહોંચાડી શકે છે.