26 September, 2022 08:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
રાજસ્થાન કૉંગ્રેસમાં મતભેદ બાદ નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે સોમવારે દિલ્હીમાં કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. સોનિયા ગાંધીને મળ્યા બાદ અજય માકને કહ્યું કે “મલ્લિકાર્જુન ખડગે અને મેં રાજસ્થાનમાં અમારી બેઠકો અંગે કૉંગ્રેસ અધ્યક્ષને વિગતવાર માહિતી આપી હતી. તેઓએ અમારી પાસે લેખિત રિપોર્ટ માગ્યો. અમે આજે રાત્રે અથવા કાલે તેમને રિપોર્ટ આપીશું.”
અજય માકને વધુમાં કહ્યું કે “કૉંગ્રેસ અધ્યક્ષનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે દરેક ધારાસભ્ય સાથે ચર્ચા થવી જોઈએ. અમે ગઈકાલની આખી વાત સોનિયા ગાંધીને કહી છે. કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક સાંજે 7 કલાકે મળી હતી. સીએમ અશોક ગેહલોતના કહેવા પર સમય અને સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું.”
અજય માકને શું કહ્યું?
તેમણે કહ્યું કે “ગેહલોતના 102 વફાદારોએ અમને કહ્યું કે તેમાંથી એકને મુખ્યપ્રધાન બનાવવા જોઈએ. અમે તેમને કહ્યું કે તેમનો અભિપ્રાય પાર્ટીના વડા સમક્ષ મૂકવામાં આવશે અને ઠરાવ પસાર કરવા માટે કોઈ શરત નથી. પક્ષપ્રમુખ વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેશે.”
નોંધપાત્ર વાત એ છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની જાહેરાત બાદ રાજસ્થાનમાં સીએમ બદલવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પાર્ટીના `એક વ્યક્તિ-એક પદ`ના સિદ્ધાંતને કારણે જો ગેહલોત પાર્ટીના અધ્યક્ષ બન્યા હોત તો તેમણે મુખ્યપ્રધાન પદ છોડવું પડત. આ પછી રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટનું નામ સીએમના દાવેદારોમાં સૌથી આગળ ચાલી રહ્યું હતું. આ અંગે ચર્ચા કરવા માટે રવિવારે જયપુરમાં સીએમ આવાસ પર કૉંગ્રેસ વિધાયક દળની બેઠક પણ બોલાવવામાં આવી હતી.
ગેહલોતને ટેકો આપતા ધારાસભ્યોએ બળવો કર્યો
આ બેઠક માટે કૉંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક અને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. આ બેઠક માટે સચિન પાયલટ સહિત ઘણા ધારાસભ્યો પણ સીએમ આવાસ પર પહોંચ્યા હતા. જો કે ગેહલોત છાવણીના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ આ બેઠક રદ કરવામાં આવી હતી. ગેહલોતના સમર્થકો ધારાસભ્ય પાયલોટના નામ પર સહમત નથી. બંને નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન પણ દિલ્હી પરત ફર્યા હતા. આજે બંને સોનિયા ગાંધીને મળ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી.