કસબ બાદ હવે અફઝલને ફાંસીએ ચડાવવાની ડિમાન્ડ

22 November, 2012 05:29 AM IST  | 

કસબ બાદ હવે અફઝલને ફાંસીએ ચડાવવાની ડિમાન્ડ



હમણાં જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અફઝલ ગુરુની દયા અરજી પુનર્વિચારણા માટે ગૃહ મંત્રાલયને મોકલી હતી. રાષ્ટ્રપતિ તેમને મળતી દયા અરજીઓના વિશે ભલામણ મેળવવા માટે ગૃહ મંત્રાલયને મોકલતા હોય છે. અત્યારે ગુરુની દયા અરજીનો નર્ણિય હાલના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ લેવાનો છે. ગઈ કાલે જ્યારે શિંદેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અફઝલ ગુરુની દયા અરજી પર ક્યાં સુધી નર્ણિય લેવામાં આવશે એ વિશે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ટ્વિટમાં અફઝલ ગુરુને ફાંસી આપવાની માગણી કરી હતી. બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ પણ સરકારને સવાલ પૂછ્યો હતો કે ‘કેમ હજી ગુરુને ફાંસી આપવામાં નથી આવી? સંસદ પર હુમલાનાં ૧૦ વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં અફઝલને હજી ફાંસી આપવામાં નથી આવી.’

રાષ્ટ્રપતિની ઑફિસના જણાવ્યા પ્રમાણે અત્યારે રાષ્ટ્રપતિ સમક્ષ ફાંસીની સજામાંથી રાહત મેળવવા માટે કુલ ૧૬ લોકોએ અરજી કરેલી છે.

ફાંસી માટે કોણ છે કતારમાં?

અફઝલ ગુરુ : ૨૦૦૧માં સંસદ પર આતંકવાદી હુમલાનો દોષી. આ હુમલામાં નવનાં મોત થયાં હતાં અને ૧૬ ઘાયલ થયા હતા. સુપ્રીમ કોર્ટે ૨૦૦૫માં ગુરુને ફાંસીની સજા જાહેર કરી હતી.

સોનિયા અને સંજીવ : આ બન્નેએ સંપત્તિ માટે પરિવારના જ આઠ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સુપ્રીમ કોર્ટે ૨૦૦૭માં તેમની ફાંસીને સજાને મંજૂરી આપી હતી.

ગુરમીત સિંહ : પોતાના જ પરિવારના ૧૩ સભ્યોની હત્યા કરનાર ગુરમીત સિંહને ૨૦૦૫માં ફાંસની સજા જાહેર થઈ હતી. ૨૦૦૯માં ગૃહ મંત્રાલયે તેની દયા અરજી ફગાવી હતી. અત્યારે તેની દયાની અરજી રાષ્ટ્રપતિ પાસે છે.

ધર્મપાલ : રાષ્ટ્રપતિ પાસ જે દયા અરજીઓ છે તેમાં ધર્મપાલની અરજી સૌથી જૂની છે. ધર્મપાલ રેપના કેસમાં જામીન પર મુક્ત હતો ત્યારે તેણે એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરી હતી.

સાઇમન, ગણપ્રકાશ, મદૈયા અને બિલાવંદ : આ ચારે વ્યક્તિઓએ સુરંગ વિસ્ફોટ કરીને ૨૨ પોલીસ-કર્મચારીઓની હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૦૪માં તેમને ફાંસી જાહેર કરી હતી.

સુરેશ અને રામજી : સંપત્તિના ઝઘડામાં પરિવારના પાંચ સભ્યોની હત્યા કરનાર આ બન્ને આરોપીઓને ૨૦૦૧માં ફાંસીની સજા જાહેર થઈ હતી. 

પ્રવીણકુમાર : એક જ પરિવારના ચાર લોકોની હત્યાનો દોષી. સુપ્રીમ કોર્ટે ૨૦૦૩માં ફાંસી સંભળાવી હતી.

સંઈબન્ના નિંગપ્પા : તેણે પોતાની પત્ની અને દીકરીની હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૦૪માં તેને ફાંસી સંભળાવી હતી.

ઝફર અલી : આ આરોપીએ પત્ની તથા પાંચ દીકરીઓની હત્યા કરી હતી. ૨૦૦૪માં દોષી જાહેર થયા બાદ ૨૦૧૧માં દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી.

સુંદર સિંહ : પોતાના ભાઈના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયે તેની દયાની અરજી નકારી હતી. એ પછી અત્યારે તેની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે છે.

અતબીર : તેણે પોતાની સાવકા ભાઈ, માતા અને બહેનની હત્યા કરી હતી. પાંચ મહિના પહેલાં જ તેણે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી.