04 May, 2024 12:52 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
BJP સરકાર સરકારી એજન્સીઓને તપાસ કરવાનું કહીને એના ટીકાકારો અને રાજકીય વિરોધીઓને ડરાવવાનું કામ કરે છે એવો આરોપ લગાવીને રાહુલ ગાંધી એમ કહેતા હતા કે ડરો મત, ભાગો મત; પણ હવે એ જ શબ્દોથી તેમના વિરોધીઓ કહી રહ્યા છે કે ડરો મત, ભાગો મત.
રાહુલ ગાંધીએ અમેઠીની બેઠક છોડીને રાયબરેલીમાંથી લડવાનો નિર્ધાર કર્યો એ મુદ્દે રાહુલ ગાંધી પર નિશાન તાકતાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના શહઝાદા કેરલાની વાયનાડ બેઠક પરથી ચૂંટણી હારી રહ્યા છે એવું મેં તમને કહ્યું હતું. મેં એ પણ કહ્યું હતું કે વાયનાડમાં ચૂંટણી પૂરી થશે એટલે તેઓ નવી બેઠક શોધશે અને એવું જ થયું છે. મેં એ પણ કહ્યું હતું કે કૉન્ગ્રેસના મોટા નેતાઓ ચૂંટણી લડવા મેદાનમાં નહીં આવે અને એવું જ થઈ રહ્યું છે. માતા રાજસ્થાનમાંથી રાજ્યસભામાં પ્રવેશ મેળવી ચૂક્યાં છે. હવે શહઝાદા પણ અમેઠીમાંથી નીકળીને રાયબરેલી જતા રહ્યા છે. આ એ લોકો છે જેઓ કહેતા હતા કે ડરો મત, ભાગો મત. પણ હવે તેઓ જ ભાગી રહ્યા છે. હું કહેવા માગું છું કે અરે... ડરો મત, ભાગો મત.’