મને મનમોહન સિંહની દયા આવે છે, તેઓ સૌથી નબળા વડા પ્રધાન :અડવાણી

18 October, 2011 06:04 PM IST  | 

મને મનમોહન સિંહની દયા આવે છે, તેઓ સૌથી નબળા વડા પ્રધાન :અડવાણી



પોતાની રથયાત્રા નાગપુરમાં પ્રવેશી એ વેળાએ એક મીટિંગને સંબોધતાં અડવાણીએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન મનમોહન સિંહ મેં જોયેલા સૌથી નબળા વડા પ્રધાન છે. આઇ. કે. ગુજરાલ, ચંદ્રશેખર અને એચ. ડી. દેવગોવડા જેવા વડા પ્રધાનો પાસે ગણ્યાગાંઠ્યા સંસદસભ્યો હોવા છતાં તેમણે તેમના કરતાં બહેતર કામગીરી બજાવી હતી. તેમની પાસે ૧૦-૧૫ સંસદસભ્યો હોવા છતાં વડા પ્રધાનના હોદ્દાને લીધે તેઓ મજબૂત બન્યા હતા. મેં જ્યારે ૨૦૦૯ની ચૂંટણી પહેલાં તેમને નબળા વડા પ્રધાન કહ્યા હતા ત્યારે લોકોએ મને સવાલ કર્યો હતો કે આવા પ્રામાણિક અને સારા માણસને હું કેમ નબળો કહું છું. તેમને નબળા કહેવા એ ગાળ ભાંડવા જેવું નથી. ૧૦, જનપથની મંજૂરી વિના હું કશું કરી નથી શકતો એમ વડા પ્રધાન માને તો તેઓ પોતાની ગરિમા ઓછી કરે છે.’