05 January, 2021 02:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રસીકરણના પ્રથમ તબક્કામાં હેલ્થ કૅર કાર્યકરો અને ફ્રન્ટલાઇન કામદારો સહિત અગ્રીમ ક્રમના જૂથના રસીકરણ માટે ભારત પાસે કોવિડ-19ની રસીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું નીતિ આયોગના સભ્ય વી. કે. પૉલે ગઈ કાલે જણાવ્યું હતું.
નૅશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વૅક્સિન ઍડ્મિનિસ્ટ્રેશન ફૉર કોવિડ-19 (એનઈજીવીએસી)ના અધ્યક્ષ વી. કે. પૉલે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં કોવિડ-19 વૅક્સિનની ખરીદી અને વહેંચણી માટેની પોતાની યોજના જાહેર કરશે.
રસીકરણના પ્રથમ તબક્કામાં મૃત્યુનું ઉચ્ચ જોખમ ધરાવતા જૂથના લોકો તેમ જ હેલ્થ કૅર અને ફ્રન્ટલાઇન વર્કર્સને અગ્રીમતા આપવામાં આવશે. હાલના તબક્કે તેમને રસી આપવા માટે દેશ પાસે વૅક્સિનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું અમારું માનવું છે.
પૉલે વધુમાં ઉમેર્યું હતું કે ત્રણથી ચાર મહિનામાં દેશમાં અન્ય વૅક્સિનનો જથ્થો ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હશે, જેને પગલે વૅક્સિનેશનના કાર્યક્રમને વધુ વેગીલો બનાવી શકાશે.