11 December, 2020 02:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા (તસવીર: એએફપી)
ગઈ કાલે દિલ્હી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના ઘરની સામે ધરણાં કરતા બીજેપીના કાર્યકરો પોલીસ સાથે ધક્કામુક્કી કરીને દરવાજો તોડીને અંદર ઘૂસ્યા હોવાનો આરોપ રાજ્યના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીએ મૂક્યો હતો. તેના એક દિવસ પહેલાં ધરણાં કરનારા કાર્યકરોએ બીજેપીના નેતૃત્વ હેઠળની મહાનગરપાલિકાઓના મેયર્સ અને નેતાઓની હત્યાના કાવતરાં ઘડવાના આરોપ સાથે મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠક સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની હાજરીમાં બનેલી ઘટના સામે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિરોધ નોંધાવ્યો હતો.
મનીષ સિસોદિયાએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયો મેસેજમાં જણાવ્યું હતું કે ‘આજે બીજેપીના ગુંડા મારી ગેરહાજરીમાં મારા ઘરનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યા હતા. તેમણે મારી પત્ની અને મારાં બાળકો પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. અમિત શાહજી, તમે દિલ્હીના રાજકારણમાં હારી ગયા એટલે આ રીતે અમને નીપટાવશો?’