નરેન્દ્ર મોદીના રાજીનામાનો નકલી પત્ર ફરતો થયો

31 July, 2026 09:24 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરીને એને ફર્ઝી ગણાવ્યો

ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)એ ફૅક્ટચેકે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર સ્પષ્ટતા કરી હતી કે આ પત્ર સંપૂર્ણપણે બનાવટી છે

સરકારે ૩૦ જુલાઈએ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બનાવટી રાજીનામાના પત્રને લઈને ચેતવણી આપી છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)એ ફૅક્ટચેકે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર સ્પષ્ટતા કરી હતી કે ‘આ પત્ર સંપૂર્ણપણે બનાવટી છે. વડા પ્રધાન દ્વારા આવો કોઈ પત્ર બહાર પાડવામાં આવ્યો નથી અને ન તો એના પર તેમની સહી છે. કોઈ પણ દાવા પર વિશ્વાસ કરતાં પહેલાં હંમેશા સત્તાવાર સ્રોત દ્વારા ચકાસણી કરો.’ 

વાઇરલ પત્ર પર મોટા લાલ અક્ષરોમાં ‘ફર્ઝી’ની મહોર પણ લગાવવામાં આવી હતી. આ પહેલી વાર નથી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામા વિશે ખોટા દાવા ફેલાયા હોય. PIBએ અગાઉ પણ યુટ્યુબ ચૅનલ 4PMNewsNetwork અને Nationwork દ્વારા ફેલાવવામાં આવેલા ‘PM મોદીએ અચાનક રાજીનામું આપ્યું’ જેવા દાવાઓને ખોટા ગણાવ્યા હતા. ૨૦૨૫માં પણ એક ગ્રાફિક વાઇરલ થયું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૦૨૫ની ૧૬ સપ્ટેમ્બર મારો છેલ્લો દિવસ રહેશે, પરંતુ તપાસમાં એ પણ બનાવટી નીકળ્યું હતું. 

સરકારે લોકોને અપીલ કરી છે કે સરકારને લગતી કોઈ પણ શંકાસ્પદ માહિતી, વિડિયો કે તસવીરને તરત જ +91 8799711259 અથવા factcheck@pib.gov.in પર મોકલો. PIB ઉપરાંત CyberPeace અને Vishvas News જેવી સંસ્થાઓએ પણ તાજેતરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવેલા ડીપફેક વિડિયો અને ખોટા ઑડિયોને પકડ્યા છે જેમાં પ્રધાનોનાં નામોનો દુરુપયોગ કરીને વડા પ્રધાન વિરુદ્ધ નિવેદનો ફેલાવવામાં આવી રહ્યાં છે.

national news indian government narendra modi delhi news new delhi