30 July, 2019 07:04 PM IST | દિલ્હી
ત્રિપલ તલાક બિલને લઈ સંસદે ઈતિહાસ રચ્યો છે. લોકસભા બાદ હવે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર થયું છે. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ થયા. હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે પસાર કરાવવા માટે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં આ પહેલા ત્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે ભાંગી પડ્યો. આ પ્રસ્તાવના સમર્થનમાં 84 અને વિરોધમાં 100 વોટ થયા. આ દરમિયાન બિલનો વિરોધ કરનાર પક્ષોએ રાજ્યસભામાંથી વૉક આઉટ કર્યો.
આ બિલમાં ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવવાની સાથે સાથે 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.
આ બિલમાં ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવવાની સાથે સાથે 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. ત્રિપલ તલાક બિલ લોકસભામાં જ પસાર થઈ ચૂક્યુ છે. મોદી સરકાર પહેલીવાર સત્તામાં આવી ત્યારથી જ ત્રિપલ તલાક બિલ પસાર કરાવવાના પ્રયત્નો કરી રહી હતી. પાછલી ટર્મમાં લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં અટકી ગયું હતું, બાદમાં સરકાર તેના માટે વટહુકમ લાવી હતી. નવી લોકસભામાં કેટલાક પરિવર્તન સાથે આ બિલ ફરી લવાયું હતું. જે બાદ તે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવવામાં સરકાર સફળ રહી છે.
ભાજપના સહયોગી જેડીયુનું વૉકઆઉટ
જેડીયુના સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે અમારી પાર્ટી આ બિલ સાથે નથી. તેમણે કહ્યું કે દરેક પાર્ટીની પોતાની વિચારધારા છે અને તેનું પાલન કરવા માટે તે સ્વતંત્ર છે. વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે વિચારની યાત્રા ચાલુ રહે છે, અને તેની ધારાઓ વહેંચાતી રહે છે, પરંતુ તે અટકતી નથી.
AIADMKનો પણ વિરોધ
રાજ્યસભામાં AIADMKના સાંસદ નવનીત કૃષ્ણને પણ બિલને ગેરબંધારણીય ગણાવ્યું અને કહ્યું,'સંસદને આ પ્રકારના કાયદા બનાવવાનો હક નથી. તેમણે કહ્યું કે તલાક કહેવા પર પતિને જેલ કરવી એ ખોટું છે.'