કાશ્મીરમાં બરફના તોફાનમાં કુલ 12નાં મૃત્યુ

16 January, 2020 03:48 PM IST  |  Srinagar

કાશ્મીરમાં બરફના તોફાનમાં કુલ 12નાં મૃત્યુ

કાશ્મીરમાં સ્નો ફોલ

જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા સતત સ્નોફોલના કારણે અત્યાર સુધી કુલ ૧૨ લોકોનાં મોત થયાં છે જેમાં સુરક્ષાદળોના પાંચ જવાનો પણ સામેલ છે. સેનાના ૬ જવાનો માછીલ સેક્ટરમાં શહીદ થયા જ્યારે બીએસએફનો એક જવાન નૌગામ સેક્ટરમાં શહીદ થયો. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૪૮ કલાકમાં ભારે બરફવર્ષાના કારણે ઉત્તર કાશ્મીરમાં અનેક જગ્યાએ હિમસ્ખલનની ઘટનાઓ સામે આવી છે જેમાં ૬ જવાનોએ પણ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે હિમસ્ખલનમાં અનેક જવાનોને રેસ્ક્યુ પણ કરાયા છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા અને ગાંદરબલ જિલ્લામાં હિમસ્ખલને અનેક ઘરોને પોતાની ચપેટમાં લીધાં છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અભિયાનમાં જોડાયેલા છે. અત્યાર સુધી પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. અનેક લોકો હજી પણ દટાયેલા હોવાની આશંકા છે.

ઘાટીમાં ચારેબાજુ બરફની સફેદ ચાદર બિછાયેલી છે. બરફવર્ષાના કારણે કાશ્મીર પહોંચેલા પર્યટકો તો ખુશ છે, પરંતુ કાશ્મીરીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક બાજુ કાશ્મીરને દેશ સાથે જોડતા તમામ રાજમાર્ગો બંધ કરાયા છે તો બીજી બાજુ વિસ્તારોમાં ૩ દિવસથી વીજળી ગુલ છે. અધિકારીઓને રાજમાર્ગોને સાફ કરાવવામાં અને ફરીથી ખોલવામાં તથા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવામાં મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે હજી પણ હવામાન ખૂબ ખરાબ છે.

ભારે બરફવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોકે હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ આજથી રાહતની શક્યતા છે. ઘાટીના મેદાની અને ઊંચા પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે. શ્રીનગરમાં ૧૨ સેન્ટિમીટર, ગુલમર્ગમાં ૨૭ સેન્ટિમીટર અને પહેલગામમાં ૨૧.૫ સેન્ટિમીટર બરફવર્ષા થઈ છે.

kashmir srinagar national news