હિમાચલમાં જળપ્રકોપ: આઠનાં મોત, 323 રસ્તા પર વાહનવ્યવહાર ઠપ

19 August, 2019 12:41 PM IST  | 

હિમાચલમાં જળપ્રકોપ: આઠનાં મોત, 323 રસ્તા પર વાહનવ્યવહાર ઠપ

હિમાચલમાં જળપ્રકોપ

દેશના ઉત્તરી અને પહાડી વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કરાણે નદી-નાળા ભરાઇ ગયા છે. શિમલામાં ભૂસ્ખલનમાં પાંચ લોકો દટાઇ ગયા હતા, જેમને રેસ્ક્યૂ કરાયા છે.

ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી છે. વરસાદની દુર્ઘટનાઓના કારણે હિમાચલ પ્રદેશના અલગ અલગ ભાગમાં ૮ લોકોના મોત થયાં છે. અનેક જિલ્લામાં વરસાદના કારણે ગામનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યના તમામ ભાગમાં થયેલા ભૂસ્ખલનની ઘટનાઓ અને ફ્લેશ ફ્લડના કારણે ૩૨૩ રસ્તાઓ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા ૫ પર પણ વાહનોની અવરજવર ઠપ થઈ છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ અને રાજસ્થાનના અનેક ભાગમાં પણ પૂર જેવી સ્થિતિના કારણે સાર્વજનિક સંપત્તિઓને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.

જાણકારી અનુસાર, વરસાદની ઘટનાઓના કારણે હિમાચલ પ્રદેશમાં આઠ લોકોના મોત થયાં છે. શિમલાના આરટીઓ કાર્યાલયની પાસે ભૂસ્ખલનની ઘટનાઓમાં ૩ લોકોના મોત થયા હોવાની જાણકારી છે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ પણ કાટમાળમાં દબાયો છે. તો વરસાદના કારણે એક મકાનની દીવાલ પડવાના કારણે એક મજૂરનું પણ મોત થયું છે.

આ ઉપરાંત હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, પોંડિચેરી, બિહાર અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે.

આ પણ વાંચો : દુર્ઘટનાના 51 વર્ષ બાદ IAF વિમાનનો કાટમાળ મળ્યો

હિમાચલના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને નદીઓના જળસ્તર વધવાને કારણે કુલ્લુ-મંડી અને મનાલીને જોડનારો નેશનલ હાઇવે બંધ થઇ ગયો છે. પંજાબમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાખરા ડેમમાંથી ૧,૮૯,૯૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સતલજ નદીના સ્તરમાં વધારો થતા પંજાબના અનેક જિલ્લા હાઇએલર્ટ પર છે. રાજસ્થાનના અજમેરમાં પણ શનિવારે ૧૫ અને માઉન્ટ આબૂમાં ૧૪ સેમી વરસાદ વરસ્યો છે. ધોલપુર ચંબલ નદી ભય સ્તરના નિશાનથી ૫ ફૂટ ઉપર વહી રહી છે.

himachal pradesh shimla national news