12 January, 2020 03:32 PM IST | Mumbai Desk
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમ્યાન કલકત્તામાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મમતા બૅનરજી સાથે મંત્રણા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે કલકત્તા પહોંચ્યા હતા. રાજભવનમાં મોદી અને પશ્ચિમ બંગાળનાં ટીએમસી પક્ષનાં નેતા અને જેઓ મોદી સરકારનાં કટ્ટર વિરોધી રહ્યાં છે એ સીએમ મમતા બૅનરજી વચ્ચે ઔપચારિક બેઠક યોજાઈ હતી. જોકે વિમાની મથકે પીએમને આવકારવા માટે સીએમને બદલે રાજ્યપાલ હાજર રહ્યા હતા. મોદી સાથેની બેઠક બાદ મમતાએ જાહેર કર્યું હતું કે તેમણે વડા પ્રધાનને કહ્યું છે કે તેમની સરકાર નાગરિકતા કાયદો, એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરે છે અને આ કાયદા પાછા ખેંચી લેવા જોઈએ. પીએમને મળ્યા બાદ સીએમ મમતા મોદી સરકારના કાયદાની સામે તેમના પક્ષ દ્વારા આયોજિત ધરણાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
તેમની મુલાકાત સામે કૉન્ગ્રેસ, ડાબેરી સંગઠનો અને અન્ય રાજકીય સંગઠનોએ વિરોધ-પ્રદર્શનનો એજન્ડા તૈયાર કરી દીધો છે. અત્યારે પશ્ચિમ બંગાળ સ્ટુડન્ટ્સ ફેડરેશનના સભ્યો કલકત્તામાં કાળા ગુબ્બારા અને ગો બૅક મોદીનાં બૅનર સાથે વિરોધ-પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
પ્રોટોકોલ પ્રમાણે તેઓ રાજ ભવનમાં રોકાશે. લેફ્ટ પાર્ટી સિવાય ઘણાં સંગઠનોએ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરવાની જાહેરાત કરી છે એ શરૂ પણ થઈ ગઈ છે.