દેશમાં 16 કરોડ લોકો શરાબનો અને 3.1 કરોડ ભાંગનો નશો કરે છેઃ કેન્દ્ર

06 July, 2019 09:12 AM IST  |  નવી દિલ્હી

દેશમાં 16 કરોડ લોકો શરાબનો અને 3.1 કરોડ ભાંગનો નશો કરે છેઃ કેન્દ્ર

થાવરચંદ ગેહલોત

ભારતમાં અંદાજે ૧૬ કરોડ કરતાં પણ વધુ લોકો દારૂનું સેવન કરે છે તો ગાંજા અને અફીણનું સેવન કરનારાઓ ત્યાર પછીના સ્થાને છે એવી માહિતી ગુરુવારે રાજ્યસભામાં આપવામાં આવી હતી. સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન થાવરચંદ ગેહલોતે કહ્યું હતું કે ભારતમાં અંદાજે ૧૬ કરોડ કરતાં પણ વધુ લોકો દારૂનું સેવન કરે છે તો ગાંજા અને અફીણનું સેવન કરનારાઓની સંખ્યા અનુક્રમે ૩.૧ કરોડ અને ૭૭ લાખ જેટલી છે. આમાંથી ૫.૭ કરોડ લોકો દારૂના, ૭૨ લાખ લોકો ગાંજાના અને ૭૭ લાખ લોકો અફીણના બંધાણી છે અને તેમને મદદની જરૂર છે એમ તેમણે કહ્યું હતું.

આ તારણો ૨૦૧૮માં સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતા દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેક્ષણનો હિસ્સો હોવાનું તેમણે કહ્યું હતું. ભારતમાં મોટા પ્રમાણમાં લોકો નશીલા પદાર્થોના બંધાણી હોવાનું આ અહેવાલ સ્થાપિત કરે છે અને વધુ ને વધુ યુવાનો આ દૂષણનો ભોગ બની રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.

૧૦થી ૭૫ વર્ષની વયજૂથના ૧.૧૮ કરોડ લોકો ઘેનની દવા લે છે અને ૭૭ લાખ લોકો નાક વાટે નશીલા પદાર્થોનું સેવન કરે છે. બાળકો અને યુવકોમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. દેશનાં ૩૬ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લઈ આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : 2019માં બૅન્કોમાં છેતરપિંડીના કુલ 71,543 કરોડના કિસ્સા બન્યાઃ કેન્દ્ર

નૅશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર (એનડીડીટીસી), ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ), અન્ય ૧૦ તબીબી સંસ્થા અને ૧૫ એનજીઓએ સાથે મળીને આ સર્વેક્ષણ હાથ ધર્યું હતું.

national news