14 January, 2020 03:40 PM IST | Mumbai Desk
સીએએ અને એનઆરસી મામલે દિલ્હીમાં મળેલી વિરોધ પક્ષોની સંયુક્ત બેઠકમાં સોનિયા ગાંધી, શરદ પવાર, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સીતારામ યેચુરી અને ડી રાજા. તસવીર : (પી.ટી.આઇ.)
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં સોમવારે દિલ્હીમાં વિરોધી પાર્ટીઓએ બેઠક કરી હતી. પાર્લમેન્ટ ઍનેક્સીમાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે સીએએ અને એનઆરસી પર વડા પ્રધાન અને ગૃહપ્રધાને દેશને ગુમરાહ કર્યો છે. તેમણે કહ્યું કે જેએનયુમાં બીજેપીએ વિદ્યાર્થીઓ પર જે હુમલા કરાવ્યા એને આખા દેશે જોયા. સરકારના પગલાથી એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ દેશ ચલાવવામાં અસફળ છે. સોનિયા ગાંધીએ કહ્યું કે જેએનયુ, જામિયા, બીચએચયુ, ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય અને એએમયુ તથા ઉચ્ચ શિક્ષાની અન્ય સંસ્થાઓમાં જેકાંઈ થયું એના તરત પછી બીજેપી દ્વારા કરવામાં આવેલા હુમલાઓથી દેશમાં ડર જોવા મળ્યો છે. મોદી-શાહ સરકારની શાસન ચલાવવાની અને લોકોને સુરક્ષા આપવાની અસમર્થતાનો ખુલાસો થઈ ગયો છે. વિરોધ પક્ષોની આ બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજી, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી સામેલ નહોતાં થયાં, તો આમ આદમી પાર્ટી અને શિવસેનાએ કહ્યું કે અમને કૉન્ગ્રેસે મીટિંગ વિશે કઈ નથી જણાવ્યું એથી અમે મીટિંગમાં હાજર ન રહ્યા. આ મીટિંગમાં પહેલાં ડીએમકે અને સમાજવાદી આવવાની ચર્ચા હતી, પરંતુ આ બન્ને પાર્ટીઓના નેતા પણ મીટિંગમાં પહોંચ્યા નહીં. કૉન્ગ્રેસના નેતૃત્વમાં બોલાવવામાં આવેલી બેઠકમાં ૧૪ દળોએ ભાગ લીધો હતો. આમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, સીપીએમ, સામેલ હતાં.