11 September, 2019 03:13 PM IST | નવી દિલ્હી
નિર્મલા સીતારમણ
લોકો લોન લઈને વાહનો ખરીદવાને બદલે મેટ્રો રેલવે તથા ઓલા-ઉબર કૅબ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ પસંદ કરવા માંડ્યા હોવાથી ઑટોમોબાઇલ ક્ષેત્રમાં મંદી આવી છે એવું નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. ગઈ કાલે યોજેલી પત્રકાર-પરિષદમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે ‘ઑટોમોબાઇલ ક્ષેત્રમાં મંદી માટે વાહનોમાંથી વાયુપ્રદૂષણ પર નિયંત્રણોના ભારત સ્ટેજ સિક્સના નિયમોનું પાલન કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશ જેવાં કારણો છે. આ ક્ષેત્રની આર્થિક નબળાઈ માટે લોકોની પબ્લિક ટ્રાન્સપોર્ટના વપરાશ તરફ ઢળતી રુચિ અને વાહનોની રજિસ્ટ્રેશન-ફી જેવી અનેક બાબતો કારણભૂત છે. ઑટોમોબાઇલ સહિત તમામ ક્ષેત્રોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર ગંભીર છે અને આવશ્યક પગલાં લેશે.’
આ પણ વાંચો : બોલો, આ ભાઈને કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ દંડ થયો
અગાઉ મારુતિ ઉદ્યોગના ચૅરમૅન આર. સી. ભાર્ગવે ઓલા-ઉબર ટૅક્સી સર્વિસિસને કારણે વાહનોના વેચાણમાં ઘટાડાના દાવાને રદિયો આપ્યો હતો. ભાર્ગવે કારોનું વેચાણ ઘટવા માટે સરકારી નીતિઓને કારણભૂત ગણાવતાં જણાવ્યું હતું કે ‘પેટ્રોલ-ડીઝલ પર ભારે કરવેરા, ઍડિશનલ રોડ ટૅક્સ વગેરેને લીધે લોકો કાર ખરીદતા નથી. ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરિંગ પર જીએસટીમાં ઘટાડાની માગણી સ્વીકારવામાં આવે તો પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો થવાનો નથી.’