12 February, 2019 08:45 AM IST | પાલઘર, મુંબઈ
પાલઘરમાં નડ્યો અકસ્માત
પાલઘરસ્થિત સર જે. પી. ઇન્ટરનૅશનલ સ્કૂલની બસનું માહિમ પાસે આવેલી પાણેરી નદી નજીક ભીષણ અકસ્માત સર્જાતાં બસમાં હાજર 19 વિદ્યાર્થીઓ જખમી થયા હતા. 19 પૈકીના 4 વિદ્યાર્થીઓ અને બસ-ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બસ-ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ઍક્સિડન્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. સાતપાટી પોલીસે ડ્રાઇવર બિસન પાટીલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ મુંબઈઃહિટ એન્ડ રનમાં 46 વર્ષના કચ્છી મહિલાનું મોત, પરિવાર નોધારો થયો
સર જે. પી. ઇન્ટરનૅશનલ સ્કૂલની બસ ગઈ કાલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઘરે છોડવા જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓ અને ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચતાં તેમને પાલઘરની ગ્રામીણ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બે વિદ્યાર્થીઓને ઢવળે હૉસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. જણાવી દઈએ કે ટૂંક સમય પહેલાં આ જ શાળાની છ પૈડાંવાળી બસ 25 કિલોમીટર સુધી માત્ર પાંચ પૈડાં પર દોડી હતી એ ઘટના બાદ પણ સ્કૂલ ઑથોરિટીની આંખો ખૂલી નહોતી.