21 December, 2019 02:24 PM IST | Lucknow
પ્રતીકાત્મક તસવીર
પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાના કારણે ઉત્તર ભારત સહિત શીતલહેરની ઝપેટમાં છે. ઠંડીથી ઉત્તર પ્રદેશમાં બે દિવસમાં વિવિધ જિલ્લામાં ૨૫ લોકોનાં મોત થયાં છે. તેમાં ચંદોલીમાં ૬, હમીરપુરમાં ૪, બાંદા, બલિયા તેમ જ ગાઝીપુરમાં ૪, વારાણસી, ભદોહી, જોનપુર, જામગઢ, મઉ, ચિત્રકૂટ, મહોબા, ફતેહપુર તેમ જ હાથરસમાં એક-એકનાં મોત થયાં છે. રાજ્યમાં બાગપતમાં ન્યુનતમ તાપમાન ૪.૯, મુઝફ્ફરનગરમાં ૫ અને સહારનપુર ૬ તેમ જ વારાણસીમાં ૮.૪ ડિગ્રી સેલ્સિયસ રેકૉર્ડ કરવામાં આવ્યા.
હાલમાં ઠંડીથી રાહતના કોઈ અણસાર નજર આવી રહ્યા નથી. પૂર્વાચલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ લોકોનાં મોત થયાં છે. બે દિવસ બાદ રાજ્યના વધુ પડતા વિસ્તારોમાં તડકા છતાં ઠંડીથી રાહત મળી નથી. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આ સ્થિતિ યથાવત્ રહેવાની અને ભારે ધુમ્મસ પડવાની ચેતવણી આપી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વધુમાં વધુ તાપમાન પણ ૧૪થી ૧૮ ડિગ્રી નોંધવામાં આવ્યું. તે સામાન્યથી ૪ થી ૧૦ ડિગ્રી સુધી ઓછું નોંધવામાં આવ્યું. ધુમ્મસના લીધે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
આ પણ વાંચો : ભારતે પિનાકા ગાઇડેડ રૉકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું
ભારે ધુમ્મસના લીધે રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો. મેરઠમાં પણ ઠંડીએ લોકોને ઠૂઠવી દીધા હતા. દિવસનું તાપમાન પણ ૫ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી સૂર્યદેવના દર્શન પણ થયા નથી. હજી આવનારા બે દિવસ સુધી ઠંડીથી રાહતના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી.