19 January, 2020 10:13 AM IST | Mumbai Desk
પ્રખ્યાત ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે મહેનતુ અને પોતાની મહેનતથી આગળ વધેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ‘પાંચમી પેઢીના શાસક’ રાહુલ ગાંધીનો ભારતીય રાજકારણમાં કોઈ જ ચાન્સ નથી. તેમણે કહ્યું કે કેરળની જનતાએ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ચૂંટીને ‘વિનાશકારી કાર્ય’ કર્યું છે. જો કેરળની જનતા ૨૦૨૪માં ફરીથી રાહુલ ગાંધીને ચૂંટશે તો તેનાથી ફરી એક વખત નરેન્દ્ર મોદી આગળ વધી જશે.
કોઝિકોડમાં યોજાયેલા કેરળ સાહિત્ય સમારંભમાં પ્રખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે ‘તમે (મલયાલી) લોકોએ સાંસદ તરીકે રાહુલ ગાંધી પર પસંદગી કળશ કેમ ઢોળ્યો? હું અંગત રીતે રાહુલ ગાંધીનો વિરોધી નથી. તેઓ ખૂબ જ શિષ્ટ છે અને સભ્ય છે પરંતુ યુવાઓ ભારતની પાંચમી પેઢીના શાસકને પસંદ નથી કરતા. જો તમે લોકો ૨૦૨૪માં ફરીથી રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો તેનો ફાયદો ફક્ત નરેન્દ્ર મોદીને જ થશે, કારણ કે નરેન્દ્ર મોદીનો એક સૌથી મોટો લાભ એ પણ છે કે તેઓ રાહુલ ગાંધી નથી. તેઓ પોતાની જાત-મહેનતથી નેતા બન્યા છે.