કેજરીવાલનું ગૅરન્ટી કાર્ડઃ ફ્રી વીજળી, પાણી, શિક્ષા અને સારવારનો વાયદો

20 January, 2020 01:30 PM IST  |  Mumbai Desk

કેજરીવાલનું ગૅરન્ટી કાર્ડઃ ફ્રી વીજળી, પાણી, શિક્ષા અને સારવારનો વાયદો

વિધાનસભા ચૂંટણી માટે ગૅરન્ટી કાર્ડ જાહેર કરતા અરવિંદ કેજરીવાલ. તસવીર : પી. ટી. આઇ.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ રવિવારે કેજરીવાલનનું ગૅરન્ટી કાર્ડ જારી કર્યું છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આ ગૅરન્ટી કાર્ડ ઘોષણાપત્રથી અલગ છે. તેમણે એમ પણ કહ્યું છે કે ગૅરન્ટી કાર્ડ અંતર્ગત આગામી પાંચ વર્ષ લોકોને ૨૦૦ યુનિટ વીજળી વિનામૂલ્યે મળવાની જારી રહેશે. દરેક ઘરને ૨૪ કલાક શુદ્ધ પાણી મળશે.

આપ દિલ્હીની તમામ ૭૦ બેઠક પર તેના ઉમેદવાર નક્કી કરી ચૂકી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ ૨૧ જાન્યુઆરી છે. ૮ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૧૧ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

કેજરીવાલે કહ્યું છે કે ઘોષણાપત્ર આગામી ૧૦-૧૫ દિવસમાં આવશે. આ અમારું ગૅરન્ટી કાર્ડ છે. અમારા વિકાસની પાકી-ગૅરન્ટી છે. એમાં કેટલીક વાત એવી છે કે જે અમે પૂરી કરી ચૂક્યા છીએ. જે પણ વચન આપવામાં આવી રહ્યાં છે તે આગામી પાંચ વર્ષમાં પૂરાં કરીશું. કેટલીક ગૅરન્ટી ઘણી મોટી છે માટે ૨, ૩ અથવા તો પાંચ વર્ષમાં લાગુ કરી શકાશે.

કેજરીવાલે જાહેર કરેલા ગૅરન્ટી કાર્ડની મોટી વાતો
દિલ્હીમાં તમામને ૨૪ કલાક વીજળી પૂરી પાડીશું. ૨૦૦ યુનિટ મફત વીજળીની યોજના યથાવત્ રહેશે. વાયરોના ગૂંચવાડાની જગ્યાએ દરેક ઘર સુધી અન્ડર ગ્રાઉન્ડ કેબલથી વીજળી પહોંચશે.
દરેક ઘરમાં ૨૪ કલાક શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડીશું. દરેક પરિવારને ૨૦ હજાર લિટર મફત પાણીની યોજના ચાલુ જ રહેશે.
દિલ્હીના દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવા માટે વિશ્વ સ્તરીય શિક્ષણવ્યવસ્થા લાગુ કરીશું.
દિલ્હીના દરેક પરિવારને અદ્યતન હૉસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક મારફતે સારવારની યોગ્ય વ્યવસ્થા ગોઠવીશું જેમાં સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવશે.
દિલ્હીના નાગરિકો માટે સરકારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વધુ સુવિધાજનક બનાવીશું. આ માટે ૧૧ હજારથી વધુ બસો અને ૫૦૦ કિલોમીટરથી વધુ લાંબી મેટ્રો લાઇનો નાખીશું. મહિલાઓ સાથે વિદ્યાર્થીઓને પણ મફત બસ મુસાફરીની સુવિધા.
વાયુ પ્રદૂષણના સ્તરને ઓછું કરીને ૩ ઘણો ઘટાડવાનું લક્ષ્ય છે. આ માટે બે કરોડ વૃક્ષો વાવીને ગ્રીન દિલ્હી બનાવવામાં આવશે.
દિલ્હીને ગંદકી અને કચરાના ઢગલાથી મુક્ત કરીને સ્વચ્છ અને સુંદર બનાવીશું.
દિલ્હીને મહિલાઓ માટે સુરક્ષિત બનાવીશું. આ માટે સીસીટીવી કૅમેરા, સ્ટ્રીટ લાઇટ્‌સ, બસ માર્શલની સાથે હવે મોહલ્લા માર્શલની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા વસાહતીઓને પાકું મકાન આપવામાં આવશે.

arvind kejriwal new delhi delhi delhi elections