06 August, 2019 07:37 PM IST | દિલ્હી
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370ને 70 વર્ષ બાદ કાઢી નાખી છે. રાજ્યસભામાં સોમવારે આ કલમ 370ની વધારાની કલમો હટાવીને જમ્મુ કાશ્મીર અને લદાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચ્યું હતું. આ બિલ રાજ્યસભામાં સોમવારે જ પસાર થઈ ગયું હતું. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. સદનમાં ચર્ચા બાદ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં પણ પસાર થયું છે. આ બિલના સમર્થનમાં 351 અને વિપક્ષમાં 72 વોટ આવ્યા હતા.
આ પહેલા લોકસભામાં આ બિલ પર આજે આખો દિવસ ચર્ચા થઈ હતી. વિપક્ષે બિલ પર ઘણા સવાલ ઉઠાવ્યા હતા. આ દરેક સવાલના ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યા હતા.
લોકસભામાં અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું હતું,'બંધારણની કલમ 370 કાશ્મીરને ભારતથી જોડતી નથી પરંતુ જોડવાથી રોકે છે. અહીં ઉપસ્થિ એક કે બે લોકો સિવાય કોઈએ કલમ 370 હટાવવાના નિર્ણયનો વિરોધ નથી કર્યો. તેઓ પણ ઈચ્છે છે કે 370 હટી જાય, પરંતુ તેમની સામે વોટબેન્કનો પ્રશ્ન આવે છે.'