28 September, 2019 11:00 AM IST | મુંબઈ
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : (જી.એન.એસ.) ભારતીય લશ્કરનું એક ચિત્તા હેલિકૉપ્ટર ભૂતાનમાં તૂટી પડ્યું છે જેમાં સવાર બે પાઇલટનાં મોત થયાં છે. સૂત્રોના મતે આ દુર્ઘટનામાં શહીદ થયેલા બન્ને પાઇલટ પૈકી એક લેફ્ટનન્ટ કર્નલ અધિકારી છે જ્યારે બીજો ભુતાનનો પાઇલટ હતો જે ભારતીય લશ્કર સાથે તાલીમ લઈ રહ્યો હતો. આ ઘટના બપોરના એક વાગ્યા આસપાસની છે જ્યારે હેલિકૉપ્ટર સાથે એકાએક સંપર્ક તૂટી ગયો હતો. ચિત્તાએ ખિરમૂ (અરુણાચલ પ્રદેશ)થી યોંગફુલ્લા માટે ઉડાન ભરી હતી. હેલિકૉપ્ટર તૂટી પડ્યા બાદ તેના કાટમાળના સ્થળ અંગે જાણકારી મેળવવામાં આવી છે.
૮૦ના દાયકામાં ઉપયોગમાં લેવાતા ચિત્તા હેલિકૉપ્ટરને હવે ‘ડેથ ટ્રેપ’ તરીકે ઓળખવામાં આવે છે. લશ્કરના અધિકારીઓ લાંબા સમયથી આ હેલિકૉપ્ટરને હટાવવાની માગ કરી રહ્યા છે. આ હેલિકૉપ્ટર આજે પણ ૬૦ના દાયકાની ટેક્નૉલૉજીથી ઉડાન ભરી રહ્યા છે. ચિત્તા હેલિકૉપ્ટર નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય થયો છતાં સેવારત છે.