25 December, 2019 09:57 AM IST | Mumbai Desk
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કૉન્ગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (જેઆરડી) ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી છે. ગઠબંધનને ૮૧માંથી ૪૭ સીટો મળી છે. આ જીત બાદ હવે ગઠબંધનના નેતા ટૂંક સમયમાં જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭ ડિસેમ્બરે હેમંત સોરેન મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. આ દરમિયાન જેએમએમના ૬, કૉન્ગ્રેસના ૫ અને જેઆરડીના એક પ્રધાન શપથ લેશે એટલે કે હેમંત સોરેનની સાથે ૧૨ પ્રધાનો શપથ લેશે. આ ઉપરાંત કૉન્ગ્રેસના ખાતામાં સ્પીકરપદ જઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેનનો શપથ ગ્રહણ સમારોહ મોરબડી ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવી શકે છે.
આ ચૂંટણીમાં બીજેપીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં જ્યાં બીજેપીએ ૩૭ સીટો જીતી હતી ત્યાં આ વખતે તેને માત્ર ૨૫ સીટો જ મળી શકી છે. બીજેપીની સહયોગી પાર્ટી ગઈ વિધાનસભામાં માત્ર ૮ સીટો પર લડીને ૫ સીટો કબજે કરવામાં સફળ રહી હતી, જ્યારે આ વખતે એ ૫૩ સીટો પર લડીને માત્ર ૨ સીટો જ પોતાના નામે કરી શકી છે.
બીજેપીની હાર માટે સુદેશ મહતોની પાર્ટી સાથે ગઠબંધન ન થવાને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. મહતો જાતિ કુર્મી જાતિની ઉપજાતિ છે. બિહાર અને ઝારખંડમાં મહતોની સારી એવી આબાદી છે. ગઠબંધન ન થવાને કારણે બીજેપીની મહતો વોટબૅન્કમાં ઘટાડો જોવા મળ્યો. બિહારમાં બન્ને પાર્ટી ગઠબંધનમાં છે, પરંતુ ઝારખંડમાં અલગ-અલગ ચૂંટણી લડી, જેનું નુકસાન બન્ને પાર્ટીઓએ ઉઠાવવું પડ્યું. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ કુર્મી જાતિના છે.