21 February, 2020 05:34 PM IST | Mumbai Desk
બીજેપીની માતૃસંસ્થા આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે રાષ્ટ્ર પ્રત્યેની લાગણી કે સંવેદના દર્શાવવા માટે બીજેપી અને ખુદ આરએસએસ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતા શબ્દ રાષ્ટ્રવાદ(નૅશનાલિઝમ) પ્રત્યે હવે અણગમો દર્શાવીને એવો દાવો કર્યો છે કે ‘રાષ્ટ્રવાદ’ શબ્દ બોલીએ છીએ તો તેનો અર્થ હિટલર, હિટલરની પાર્ટી નાઝીવાદ, ફાસીવાદ એવો થાય છે...! તેથી રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ. રાષ્ટ્રવાદ શબ્દના સ્થાને હવે રાષ્ટ્ર કે રાષ્ટ્રીય એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. નોંધનીય છે કે જર્મનીના તાનાશાહી હિટલરે લાખો યહૂદીઓની કત્લેઆમ કરીને વિશ્વ આખામાં ધિક્કારની લાગણી જન્માવી હતી. તેમની પાર્ટી નાઝી યહૂદીઓને જર્મનના દુશ્મન માનતી હતી. હિટલરની સાથે ફાસિસ્ટ-ફાસીવાદ શબ્દ પણ જોડાયેલો છે અને કૉન્ગ્રેસ દ્વારા બીજેપી અને સંઘની વિરુદ્ધ પણ ઘણીવાર આ શબ્દનો ઉપયોગ થાય છે. આ નિવેદન અગાઉ તેમણે એમ કહીને વિવાદ જગાવ્યો હતો કે ભણેલા-ગણેલા પરિવારોમાં છૂટાછેડાના કિસ્સાઓ વધારે જોવા મળે છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન મોહન ભાગવતે કહ્યું કે આરએસએસનો વિસ્તાર દેશ માટે છે, કારણ કે અમારું લક્ષ્ય ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે.
સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રવાદ જેવા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમનું કહેવું છે કે રાષ્ટ્રવાદ શબ્દની જગ્યાએ રાષ્ટ્ર કે રાષ્ટ્રીય શબ્દનો ઉપયોગ થવો જોઈએ, કારણ કે તેમાં નાજી અને હિટલરની ઝલક દેખાય છે. એવામાં રાષ્ટ્ર કે રાષ્ટ્રીય જેવા શબ્દોનો જ મુખ્યત્વે ઉપયોગ કરવો જોઈએ.