07 January, 2020 10:04 AM IST | New Delhi
દિલ્હી પોલીસે દાખલ કર્યો એફઆઇઆર
દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિ-જેએનયુના ઇતિહાસમાં સૌપ્રથમ વાર બુકાનીધારી યુવકોના એક હિંસક ટોળાએ લાકડીઓ-લોખંડના સળિયાના હથિયારો સાથે હોસ્ટેલ અને કેમ્પસમાં ગેરકાયદે ઘૂસીને મહિલા છાત્રો-પ્રોફેસરો સહિત અન્યો પર હુમલાઓ કરીને આચરેલી ભારે હિંસા-તોડફોડ અને અરાજક્તા વગેરેની ગંભીર અને નિંદનીય ઘટનાના દેશ આખામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તો બીજી તરફ કેન્દ્રના ગૃહ વિભાગે, સરકાર માટે કલંકરૂપ આ ઘટનાની તપાસ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપીને વહેલામાં વહેલી તકે અહેવાલ આપવાની તાકીદ કરી હતી. તપાસ કરનાર પોલીસની ટીમ દ્વારા તાકીદે એફઆઇઆર નોંધીને તાત્કાલિક યુનિ. કેમ્પસમાં પહોંચી તપાસની કામગીરી હાથ ધરી હતી તો સોશ્યલ મીડિયામાં પણ આ બનાવ અંગેની તપાસ અલગથી હાથ ધરી છે. દરમ્યાન જેએનયુ શિક્ષક સંઘે કુલપતિ અને ઉપ-કુલપતિને હટાવવાની માગણી કરી છે.
હિંસાના વિરોધમાં કેમ્પસના સાબરમતી હોસ્ટેલનાં વૉર્ડન મિનાએ આજે સવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું તો, કુલપતિએ શાંતિની અપીલ કરી હતી.
આ પણ વાંચો : દિલ્હી દંગલઃ આઠ ફેબ્રુઆરીએ મતદાન, 11મીએ પરિણામ
આ અંગે ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ સાથે વાત કરીને કહેવાય છે કે ઉપ-રાજ્યપાલને જેએનયુના પ્રતિનિધિઓને બોલાવીને તેમની સાથે વાટાઘાટ કરવા જણાવ્યું છે. જેએનયુના રજિસ્ટ્રાર અને વીસી આજે સવારે એલજી(ઉપ-રાજ્યપાલ)ને મળ્યા હતા અને તેમને પરિસ્થિતિની જાણકારી આપી હતી. પોલીસ વિદ્યાર્થીઓ સાથે વાત કરશે અને પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરશે. એ જ સમયે એઇમ્સ અને સફદરજંગમાં દાખલ ૩૫ વિદ્યાર્થીઓના મેડિકલ તપાસની કામગીરી પૂર્ણ થઈ હતી.