સરકાર 2024 સુધીમાં 100 નવાં ઍરપોર્ટ બનાવશે, 1000 હવાઈ રૂટ્‌સ શરૂ કરાશે

01 November, 2019 12:59 PM IST  |  નવી દિલ્હી

સરકાર 2024 સુધીમાં 100 નવાં ઍરપોર્ટ બનાવશે, 1000 હવાઈ રૂટ્‌સ શરૂ કરાશે

એરપોર્ટ

પાંચ ટ્રિલ્યન ડૉલર અર્થવ્યવસ્થાનું લક્ષ્ય પૂરું કરવા તરફ મોદી સરકારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રો મુજબ મોદી સરકાર ૨૦૨૪ સુધીમાં ૧૦૦ નવાં ઍરપોર્ટ બનાવવા પર વિચાર કરી રહી છે. સરકારના પ્રસ્તાવ મુજબ ૧૦૦૦ નવા રૂટ્‌સ શરૂ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ રૂટ્‌સ નાનાં શહેરો અને ગામડાંઓને જોડશે.

રિપોર્ટ મુજબ પાછલા સપ્તાહે મળેલી બેઠકમાં ૨૦૨૫ સુધી જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સામેલ એક અધિકારીએ નામ ખાનગી રાખવાની શરતે જણાવ્યું કે દેશમાં પ્લેન લીઝ ફાઇનૅન્સિંગ બિઝનેસને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

નવાં ઍરપોર્ટ શરૂ કરવાની સાથે-સાથે દર વર્ષે ૬૦૦ પાઇલોટ્‌સને સ્થાનિક સ્તરે પ્રશિક્ષિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એના સિવાય પાંચ વર્ષોમાં વિમાનોની સંખ્યા બમણી કરીને ૧૨૦૦ સુધી પહોંચાડવાની વાત પણ કરી છે. અર્થવ્યવસ્થામાં હાલના સમયે સુસ્તી નોંધાઈ રહી છે એટલા માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા એને ગતિ આપવા માગે છે. સરકારે પાછલા મહિને કૉર્પોરેટ ટૅક્સમાં પણ ઘટાડો કર્યો હતો.

પાડોશી દેશ ચીનમાં પણ ઍરપોર્ટ્સની સંખ્યા તેજીથી વધી રહી છે. ચીને ૨૦૩૫ સુધી ૪૫૦ કમર્શિયલ ઍરપોર્ટ્સનું લક્ષ્ય રાખ્યુ છે જે ૨૦૧૮ની સંખ્યાની સરખામણીએ બમણી છે. ત્રણ વર્ષ પહેલાં સુધી ભારતમાં ફક્ત ૭૫ રનવે કામ કરતાં હતાં. મોદી સરકારે અત્યાર સુધીમાં ૩૮ ઍરપોર્ટને દેશના એવિયેશન મૅપ સાથે જોડ્યો છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી તેમની સરકાર માટે લક્ષ્ય નિર્ધારિત કરતાં ૨૦૨૫ સુધીમાં ભારતને પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી બનાવવાનો દાવો કર્યો હતો. સંસદમાં જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું તો તેમણે દેશની સામે પાંચ ટ્રિલ્યન ડૉલરનું અર્થવ્યવસ્થાનું લક્ષ્ય રાખ્યું હતું. વડા પ્રધાને પણ કહ્યું હતું કે જો આપણે બધા મળીને કામ કરીશું તો આ લક્ષ્ય મેળવી શકાશે.

national news new delhi