27 June, 2019 01:12 PM IST | પટના
એક્સિડન્ટ
બિહારના પાટનગર પટનામાં મંગળવારે રાતે એક બેકાબૂ થયેલી એસયુવી કારે ફુટપાથ પર ઊંઘેલા લોકોને કચડી દીધા છે. એમાં ૩ બાળકોનાં મોત થયાં છે, જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. એક્સિડન્ટ પછી ગુસ્સે થયેલા લોકોએ ડ્રાઇવર સહિત કારમાં બેઠેલા બે લોકોને ઢોરમાર માર્યો હતો. એમાં ડ્રાઇવરનું મોત થયું છે, જ્યારે બીજી વ્યક્તિની હાલત ગંભીર છે.
આ પણ વાંચો : બિન-ગાંધી પરિવારમાંથી પાર્ટી અધ્યક્ષ પસંદ કરો : રાહુલ ગાંધી
પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાતે અંદાજે બે વાગ્યે અગમકુઆના પાર્કની સામે ફુટપાથ પર ઊંઘેલા લોકોને કચડ્યા પછી કાર પણ પલટી ખાઈ ગઈ હતી. ત્યાર પછી સ્થાનિક લોકોએ કારમાં બેઠેલા લોકોને ખૂબ માર્યા હતા. કારમાં તોડફોડ કરીને એને આગ લગાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી કારમાં બેઠેલા મનીષને નવાદા જિલ્લાની પીએમસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય જે વ્યક્તિ કાર ચલાવતી હતી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. સરકારે મરનાર બાળકોના પરિવારજનોને ૪-૪ લાખ આપવાની જાહેરાત કરી છે.