1988માં ઈ-મેઇલ, ડિજિટલ કૅમેરાના દાવાથી વડા પ્રધાન હાંસીને પાત્ર ઠર્યા

14 May, 2019 10:33 AM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

1988માં ઈ-મેઇલ, ડિજિટલ કૅમેરાના દાવાથી વડા પ્રધાન હાંસીને પાત્ર ઠર્યા

ઓવૈસી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. શનિવારે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમણે ૧૯૮૭-’૮૮માં ડિજિટલ કૅમેરાનો ઉપયોગ કર્યો હતો અને ફોટો ઈ-મેઇલ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ દેશના વરિષ્ઠ રાજકારણીઓ અને પત્રકારોમાં તેઓ હાંસીને પાત્ર બની ગયા છે.

અર્થશાસ્ત્રી રૂપા સુબ્રમણ્યમે ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘એ સમયે પશ્ચિમના દેશોમાં પણ ખૂબ જ ઓછા લોકો પાસે ઈ-મેઇલની સુવિધા હતી પરંતુ મોદીએ ૧૯૮૮માં ઈ-મેઇલનો ઉપયોગ કરી લીધો હતો. જોકે ઈ-મેઇલની સેવા બાકી બધા માટે તો ૧૯૯૫માં ઉપલબ્ધ થઈ હતી.’

એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન મોદી પાસે પર્સ નહોતું અને ૧૯૮૮માં તેમની પાસે ડિજિટલ કૅમેરા અને ઈ-મેઇલની સુવિધા હતી? વડા પ્રધાન મન ફાવે તેમ બોલી રહ્યા છે.’

સાઉથ અને બૉલીવુડ એક્ટર પ્રકાશ રાજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘જ્યાં સુધી અમને જાણ છે ત્યાં સુધી ૧૯૯૦ના દાયકામાં આ સુવિધા આવી હતી઼ પરંતુ અમારા ચોકીદાર પાસે ડિજિટલ કૅમેરા અને ઈ-મેઇલની જાણકારી ૧૯૮૦માં પ્રાપ્ત થઈ હતી. જોકે એ સમયે તેઓ જંગલમાં હતા. મહાભારતનું વાંચન કરતા સમયે વાદળથી ઘેરાયા... મૂર્ખ બનાવવાની પણ હદ હોય છે.’

આ પણ વાંચો : દેશ ગાળભક્તિથી નહીં, રાષ્ટ્રભક્તિથી ચાલશે : મોદી

આ ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન મોદીએ બાલાકોટ ઍરસ્ટ્રાઇક વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘અમારી સામે એક સમસ્યા હતી કે તે સમયે હવામાન ખરાબ હતું. આ વાત હું પ્રથમ વખત જણાવી રહ્યો છું. ત્યારે કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું કે તારીખ બદલી નાખીએ તો? મેં વિચાર્યું કે આ હવામાનમાં અમે રડારથી બચી શકીએ છીએ. મેં કહ્યું કે આકાશમાં વાદળ છે અને વરસાદ વરસી રહ્યો છે. આ અમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.’

asaduddin owaisi national news narendra modi