14 August, 2019 02:46 PM IST | નવી દિલ્હી
બિપિન રાવત
જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હવે સમાપ્ત થઈ ગયો છે જેને કારણે પાકિસ્તાન હચમચી ગયું છે. વધુમાં પાકિસ્તાને લદ્દાખ નજીક સ્કર્દુ ઍરબેઝ પર લડાકુ વિમાન પણ તહેનાત કર્યાં છે. એવામાં ભારતીય સેનાપ્રમુખે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું છે કે ‘ભારતીય સેના એલર્ટ પર છે. જો પાકિસ્તાની સેના એલઓસી પર આવવા ઇચ્છે તો એ તેમના પર નિર્ભર કરે છે. તેમને આ મામલે સરખો જવાબ મળશે.’
વધુમાં જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર પણ બિપિન રાવતે કહ્યું કે ‘કાશ્મીરના લોકો સાથે અમારી વાતચીત પહેલાંની જેમ જ સામાન્ય છે. અમે હજી પણ તેમને બંદૂક વગર મળીએ છીએ અને આશા રાખીએ છીએ કે આગળ પણ બંદૂક વગર જ મળતા રહીશું.’
આર્મી ચીફના શબ્દોમાં કહીએ તો સૈન્ય ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં કાશ્મીરના લોકો સાથે સમાન પ્રકારનો સંબંધ બાંધવા માગે છે, કારણ કે સૈન્ય અને કાશ્મીરના લોકો વચ્ચે ભાઈચારો હતો.
આ પણ વાંચો : રાહુલ માટે વિમાન મોકલીશ, હકીકત જાણો પછી નિવેદન આપો : સત્યપાલ
પાકિસ્તાને શનિવારે ત્રણ ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ મોકલ્યાં હતાં, જેના દ્વારા ફાઇટર ઍરક્રાફ્ટનાં ઉપકરણ લાવવામાં આવ્યાં હતાં. કહેવાય છે કે પાકિસ્તાન જીએફ-૧૭ ફાઇટર પ્લેન પણ અહીં મોકલી શકે છે. સ્કુર્દ પાકિસ્તાનનો એક ફૉર્વર્ડ ઑપરેટિંગ બેઝ છે. એનો ઉપયોગ બૉર્ડર પર આર્મી ઑપરેશનને મદદ કરવા માટે થાય છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે પાકિસ્તાનની વાયુસેના અહીં અભ્યાસ કરવાનું પ્લાનિંગ કરે છે.