કાશ્મીરના અનંતનાગમાં સેનાએ ૪ આતંકવાદીઓને ઠાર કર્યા

16 March, 2020 10:57 AM IST  |  New Delhi

કાશ્મીરના અનંતનાગમાં સેનાએ ૪ આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષાદળોએ અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. હજી પણ ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે. એન્કાઉન્ટરમાં કોઈ પણ ભારતીય જવાનના ઘાયલ થવાની માહિતી નથી. આતંકવાદી પ્રવૃત્તિઓને જોતાં ભારતીય સુરક્ષાદળોએ હજી પણ સમગ્ર વિસ્તારને ઘેરીને રાખ્યો છે અને સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.

મળતી જાણકારી મુજબ સુરક્ષાદળોને અનંતનાગ સ્થિત વટરી ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણ થઈ હતી. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે જ્યારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરવાનો પ્રયાસ કર્યો તો એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘણી વાર સુધી થયેલા ફાયરિંગમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ છે. હજી પણ ફાયરિંગ ચાલુ છે. મળતી માહિતી મુજબ હજી પણ એક આતંકવાદી છુપાયો છે.

national news kashmir