10 January, 2019 02:30 PM IST | નવી દિલ્હી
આર્મી ચીફ બિપિન રાવત (ફાઇલ)
સેનાપ્રમુખ જનરલ બિપિન રાવતે દિલ્હીમાં વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે સરહદપારથી આશરે 300 આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. તેમણે આ બાબતે પાકિસ્તાનને ચેતવ્યું છે. તેમણે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે આતંકવાદ અને વાતચીત એકસાથે ન થઈ શકે, એટલે બંદૂક છોડો અને હિંસા બંધ કરો.
કાશ્મીર મુદ્દે મોટું નિવેદન આપતા આર્મી ચીફે કહ્યું, વાતચીત અને આતંકવાદ એકસાથે ન થઈ શકે. આ જમ્મુ-કાશ્મીર પર પણ લાગુ થાય છે. તેમણે કહ્યું કે તાલિબાન મામલાની સરખામણી જમ્મુ-કાશ્મીર સાથે બિલકુલ ન થઈ શકે. જમ્મુ-કાશ્મીરમાં અમારી શરતો પર જ વાતચીત થશે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ વધુ સુધારવાની જરૂર છે. શાંતિ માટે અમે લોકો અહીંયા ફક્ત એક માધ્યમ છે.
કાશ્મીરમાં સ્થાનિક લોકો પર થયેલી હિંસા પર પૂછવામાં આવેલા સવાલ પર જનરલ રાવતે કહ્યું, "ભારતીય સેના જાણીજોઇને કોઈ નાગરિકને લક્ષ્ય નથી બનાવતી, પરંતુ અમે જાણીએ છીએ કે તે જ ધરતી પર તે જ લોકોની વચ્ચે કેટલાક આતંકીઓ પણ સક્રિય છે, જે સરહદ પાર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કોઈ આતંકવાદી કે નાગરિકને ઓળખવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે."
આ પણ વાંચો: આર્મીના ચીફનું વિવાદાસ્પદ નિવેદન
આ દરમિયાન તાલિબાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "જો ઘણા દેશો તાલિબાન સાથે વાત કરી રહ્યા છે અને ભારતને અફઘાનિસ્તાન સાથે થોડી પણ લેવાદેવા હોય તો આપણે પણ તે વાતચીતમાં સામેલ થવું જોઈએ." આર્મી ચીફે કહ્યું કે અમે ચીન અને પાકિસ્તાનની સરહદ પર પરિસ્થિતિને ખૂબ સારી રીતે સંભાળી છે.