13 October, 2019 01:09 PM IST | શ્રીનગર
શ્રીનગર શહેરની હરિ સિંહ સ્ટ્રીટમાં કથિત આતંકવાદીઓના ગ્રેનેડ અટૅકમાં પાંચ નાગરિકોને ઇજા થઈ હતી. ગ્રેનેડ ફેંકાયાની માહિતી મળતાં હુમલાના સ્થળે સશસ્ત્ર પોલીસ જવાનો પહોંચ્યા હતા. તસવીર : પીટીઆઇ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સખત સુરક્ષા વચ્ચે હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં ૭ લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. ઘાટીમાં સખત સુરક્ષાવ્યવસ્થા છે ત્યારે આ હુમલો થયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઘટના બાદ મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે સુરક્ષાદળોની ટીમ પણ હાજર છે. સુરક્ષા દળો આ ગ્રેનેટ હુમલાની તપાસ કરી રહી છે. જ્યારે ઘાયલોને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
આ પહેલાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ પાંચ ઑક્ટોબરે ગ્રેનેડ હુમલો કર્યો હતો. ડીસી ઑફિસ પાસે કરાયેલા આ હુમલામાં ટ્રાફિક પોલીસ કર્મચારી અને એક પત્રકાર સહિત ૧૪ લોકો ઘાયલ થયા હતા.
જમ્મુ-કાશ્મીર આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ આતંકી હુમલા થવાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ સિવાય સેનાના અધિકારીઓએ પણ દાવો કર્યો હતો કે આતંકીઓ ઘાટી પાર કરીને કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયાસ કરવાની ફિરાકમાં છે.
આ પણ વાંચો : દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ : કેજરીવાલ
આ અગાઉ જમ્મુ-કાશ્મીરના અવંતિપુરમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખ લશ્કર-એ-તૈયબાના અબુ મુસ્લિમ તરીકે થઈ હતી. આ સિવાય ઘાટીમાં આતંકીસમૂહો સક્રિય હોવાની હાલમાં જ જાણકારી સામે આવી હતી, જેના કારણે ઘાટીમાં સુરક્ષા દળોને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે.