16 May, 2020 01:26 PM IST | Mumbai Desk | Agencies
ઉત્તર પ્રદેશમાં રોડવેઝ બસે પગપાળા જઈ રહેલા ૬ શ્રમિકોને કચડી નાખ્યા હતા.
આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક કરુણ દુર્ઘટના બની છે. જ્યાં ૩૦ શ્રમિકોને લઈ જતું એક ટ્રેક્ટર હાઈટેન્શન પોલની ચપેટમાં આવી ગયું. આ દુર્ઘટનામાં ૯ શ્રમિકોનાં મોત થયાં છે, જ્યારે ઘણા ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની સારવાર નજદીકની હૉસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા છે.
આ દુર્ઘટનાને લઈને આંધ્ર પ્રદેશના રાજ્યપાલે દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદનને સૂચિત કરવામાં આવ્યું કે જિલ્લા પ્રશાસને ઈજાગ્રસ્ત શ્રમિકોને હૉસ્પિટલમાં દાખલ કરી દીધા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. રાજ્યપાલે શોક સંત્પત પરિવારના સભ્યો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
જણાવી દઈએ કે આ પહેલાં ૩ જુદા જુદા રોડ અકસ્માતમાં ઘણા શ્રમિકોનાં મોત થયાં છે. મધ્ય પ્રદેશના ગુનામાં બુધવારે મોડી રાતે ૬૦થી વધારે શ્રમિકોની બસનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૮ શ્રમિકોનાં મોત થયાં હતાં, તો ઉત્તર પ્રદેશમાં રોડવેઝ બસે પગપાળા જઈ રહેલા ૬ શ્રમિકોને કચડી નાખ્યા હતા. બિહારમાં પણ એક રોડ અકસ્માતમાં ૨ શ્રમિકોનાં મોત થયાં છે.