વિદેશમાં દરરોજ મરે છે ૨૦+ ભારતીય શ્રમિકો, ખાડી દેશોમાં છે સૌથી ખરાબ હાલત

03 April, 2026 11:53 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સરકારે રાજ્યસભામાં વિદેશોમાં કામ કરતા ભારતીય શ્રમિકોની સ્થિતિને લઈને ખૂબ ચિંતાજનક આંકડા રજૂ કર્યા છે.

રાજ્ય સભા

સરકારે રાજ્યસભામાં વિદેશોમાં કામ કરતા ભારતીય શ્રમિકોની સ્થિતિને લઈને ખૂબ ચિંતાજનક આંકડા રજૂ કર્યા છે. સરકારી આંકડા અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં દરરોજ સરેરાશ ૨૦ ભારતીય મજૂરો વિદેશની ધરતી પર મૃત્યુ પામે છે. એમાંથી સૌથી વધુ મૃત્યુ ખાડી દેશોમાં થાય છે. વિદેશ મંત્રાલયના રાજ્યપ્રધાન કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે ૨૦૨૧થી ૨૦૨૫ની વચ્ચે વિદેશોમાં કુલ ૩૭,૭૪૦ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. જોકે સરકારે આ મૃત્યુનાં કારણોનું અલગથી વિશ્લેષણ આપ્યું નહોતું. યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ૧૨,૩૮૦ અને સાઉદી અરેબિયામાં ૧૧,૭૫૭  શ્રમિકોના જીવ ગયા છે. કુવૈતમાં ૩૮૯૦, ઓમાનમાં ૨૮૨૧, મલેશિયામાં ૧૯૧૫ અને કતરમાં ૧૭૬૦ શ્રમિકોનાં મૃત્યુ થયાં છે. આ ઉપરાંત અમેરિકામાં ૪૫૪, સિંગાપોરમાં ૪૫૧, નાઇજીરિયામાં ૨૧૦ અને બ્રિટનમાં ૧૮૮ મૃત્યુ થયાં છે.

લોકસભાની બેઠકો ૫૪૩થી ૮૧૬ કરવામાં આવે એવી છે સંભાવના

એમાં એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે, આ બિલ પર ચર્ચા કરવા ૧૬થી ૧૮ એપ્રિલ દરમ્યાન બજેટસત્ર લંબાવવામાં આ‍વશે

ગઈ કાલે રાજ્યસભાની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાને બદલે ૧૬ એપ્રિલે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. સરકાર હાલના બજેટસત્રને આગળ વધારીને કેટલાંક પેન્ડિંગ બિલોને પાસ કરાવવાની પેરવીમાં છે. ૩ દિવસ એક્સ્ટેન્ડ થનારા બજેટસત્રમાં પહેલા જ સેશનમાં મહિલા આરક્ષણ કાયદામાં સંશોધનના બિલ પર ચર્ચા કરવામાં આવશે. સરકાર આ ઉપરાંત લોકસભાની બેઠકોની સંખ્યા વધારવા માટે સંશોધન બિલ લાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં લોકસભામાં ૫૪૩ સીટો છે. પ્રસ્તાવિત ૫૦ ટકા વધારા સાથે સીટોની સંખ્યા ૮૧૬ થઈ જશે. એમાં ૨૭૩ (લગભગ એક-તૃતીયાંશ) બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે. સરકારનું ધ્યેય ‘નારી શક્તિ વંદન અધિનિયમ’માં સંશોધન કરવાનું છે.

national news india Rajya Sabha indian government delhi news new delhi