મુંબઈ : આઇઆઇટી બૉમ્બેમાં આરસની લાદી પડતાં 2 મજૂર માર્યા ગયા

31 August, 2020 11:43 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ : આઇઆઇટી બૉમ્બેમાં આરસની લાદી પડતાં 2 મજૂર માર્યા ગયા

પ્રતીકાત્મક તસવીર

આઇઆઇટી બૉમ્બેમાં ગઈ કાલે બપોરે ટ્રકમાંથી સામાન ઉતારતી વખતે કેટલાક ભારે આરસના સ્લેબ નીચે પડતાં બે મજૂર મૃત્યુ પામ્યા હોવાનું તથા અન્ય એક મજૂર ઘાયલ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પવઈ વિસ્તારમાં આવેલી આ સંસ્થામાં નવિનીકરણના કામ માટે આશરે ૧૦૦ કિલો વજનની આરસની લાદી લાવવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય દલવીએ જણાવ્યું હતું.

જ્યારે મજૂરો ટ્રકમાંથી સ્લેબ ઉતારી રહ્યા હતા ત્યારે તેમનું સંતુલન ખોરવાઈ ગયું અને છ સ્લેબ તેમના ઉપર પડ્યા હતા.

પીડિતોને સંસ્થાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પુણેના વતની ૨૧ વર્ષના મહાવીર યાદવ અને ૪૨ વર્ષના દિનેશ જહાંગીરને મૃત ઘોષિત કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ઈજાગ્રસ્ત મજૂરની સંસ્થાનોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તથા તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે તથા જો કોઈ પ્રકારની બેદરકારી સામે આવશે તો કોન્ટ્રૅક્ટર સામે કેસ નોંધવામાં આવી શકે છે એમ વધુમાં ઉમેર્યું હતું.

mumbai mumbai news iit bombay powai