વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલ પાસ

20 September, 2020 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલ પાસ

રાજ્યસભા

રાજ્યસભામાં કૃષિ સંલગ્ન બિલોને વિપક્ષના ભારે હોબાળા છતા ધ્વનિમતથી સરકારે પાસ છે. લોકસભામાં અગાઉ પાસ થયેલા આ કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ ) કિંમત આશ્વાસન કરાર અને કૃષિ સેવા પર કરાર બિલ 2020ને રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે.

વિપક્ષે આ બન્ને બિલો પ્રવર સમિતિ સમક્ષ મોકલવા માંગ કરી હતી આ સામે સરકારે વિપક્ષને કહ્યું કે, આ બિલો ખેડૂતો માટે ક્રાંતિકારી પુરવાર થશે.

કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આ બિલમાં સૌથી મહત્વના લઘુતમ ટેકાના ભાવના મુદ્દે કહ્યું કે, ખેડૂતોની ઉપજની ખરીદી ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ-MSP) આધારે જ કરવામાં આવશે. ટેકાનો ભાવ પહેલા પણ હતો અને આગળ જતા પણ રહેશે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

તોમરેએ બન્ને બિલો રાજ્યસભામાં રજૂ કર્યા હતા. રવિવારે આ બિલ પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. બિલને પસાર કરાવતા અગાઉ વિપક્ષે ગૃહમાં જોરદાર હંગામો પણ કર્યો હતો. બિલનો વિરોધ કરતા કેટલાક વિપક્ષના સાંસદોએ ગૃહમાં વેલમાં ધસી જઈને બિલની નકલો, રૂલ બૂક પણ ફાડી હતી. આ ઉપરાંત ડેપ્યુટી સ્પીકરનું માઈક પણ તોડી નાંખવાની ઘટના બની હતી. ભારે હંગામાને લીધે ગૃહની કાર્યવાહી થોડીવાર માટે સ્થગિત રાખવામાં આવી હતી અને ત્યારબાદ ગૃહ ફરી શરૂ થતા બિલ પસાર કરી દેવામાં આવ્યા હતા.
વિપક્ષના વિરોધને લઈને પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે પીએમ મોદીએ 2014માં કામગીરી સંભાળી ત્યારબાદ તેમણે ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમની સરકારને કામે લગાવી હતી. આ માટે ફક્ત આ બિલ કારગર નથી પરંતુ વિતેલા છ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અગાઉ બિલ રજૂ કરતા કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, આ બિલ દ્વારા ખેડૂતો પોતાની ઉપજને બજારમાં સારી કિંમતે વેચવા સ્વતંત્ર બનશે. ખેડૂતોને તેમની ઈચ્છા મુજબના ભાવે કૃષિ પેદાશને વેચી શકશે. આ બિલમાં ખેડૂતોને સુરક્ષા પુરી પાડવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તોમરે જણાવ્યું હતું કે બિલમાં એવી જોગવાઈ કરાઈ છે કે વાવણી વખતે જ કિંમતનું આશ્વાસન આપવું પડશે.

જો કે કેન્દ્ર સરકાર એપીએમસી સંલગ્ન એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટનું બિલ અલગથી રજૂ કરશે. કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે કે આ બિલને લીધે ટેકાના ભાવે ખરીદી નાબૂદ થશે અને કોર્પોરેટ ક્ષેત્રને ફાયદો થશે. રાજ્યસભામાં કોંગ્રેસના પ્રતાપ સિંહ બાજવાએ આક્ષેપ કર્યો કે બન્ને વિધેયક ખેડૂતોની આત્મા પર ઘા સમાન છે. આ બિલો ખોટી રીતે અને ખોટા સમયે તૈયાર કરવામાં આવ્યા છે.

national news Rajya Sabha