11 July, 2024 07:36 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
અકસ્માતની તસવીર
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગઈ કાલે વહેલી સવારે થયેલા ભીષણ અકસ્માતમાં ૧૮ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૯ પ્રવાસી ઘાયલ છે. બિહારના મોતીહારીથી દિલ્હી જઈ રહેલી પ્રાઇવેટ ડબલ-ડેકર બસનો દૂધના ટૅન્કર સાથે સવારે ૫.૧૫ વાગ્યાની આસપાસ ઍક્સિડન્ટ થયો હતો. દિલ્હી તરફ ડબલ-ડેકર બસ જઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા દૂધના ટૅન્કરે બસને ઓવરટેક કરતાં આ અકસ્માત થયો હતો. બન્નેની ટક્કર એટલી જોરદાર હતી કે બસે અનેક વાર પલટી મારી હતી અને એના ફુરચેફુરચા ઊડી ગયા હતા. ઘટના બાદ થોડા સમય સુધી રસ્તા પર લોકોના મૃતદેહ વેરવિખેર પડ્યા રહ્યા હતા. ઉન્નાવના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ગૌરંગ રાઠીએ કહ્યું હતું કે શરૂઆતની તપાસ પરથી એવું જાણવા મળ્યું છે કે બસની સ્પીડ બહુ જ વધારે હોવાથી આ ઍક્સિડન્ટ થયો હતો. ૧૯ ઘાયલોને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.