12 March, 2019 08:27 AM IST |
પ્રતીકાત્મક તસવીર
બાલાકોટમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા પર વિરોધ પક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે ત્યારે મળેલી માહિતી અનુસાર IAFના હુમલાના થોડા દિવસ પહેલાં જ અહીં તાલીમ લેવા ૨૬૩ જેટલા આતંકવાદીઓ એકઠા થયા હતા. પાંચ દિવસ સુધી આતંકવાદીઓનાં ઠેકાણાંનું નિરીક્ષણ કર્યા બાદ IAFએ ચાર મિસાઇલોથી આતંકવાદીઓનાં ઠેકાણાંઓ નષ્ટ કર્યા હતાં.
મળેલી માહિતી મુજબ જૈશના તાલીમી કૅમ્પમાં ૧૮ સિનિયર કમાન્ડર, અંદાજે ૨૩૦ જેટલા આતંકવાદની તાલીમ લેનારાઓ અને કૅમ્પમાં કામ કરનારા વાળંદ અને રસોઇયાઓ સહિત ૧૮ જણનો સ્ટાફ એમ કુલ ૨૬૩ લોકો હતા. IAFએ બાલાકોટમાં જૈશની જે ઇમારતોને નિશાન બનાવી ત્યાં કુલ આઠ-નવ ઇમારતો હતી અને તેમણે ખાલી ઇમારતોને છોડીને બાકીની ઇમારતો પર બૉમ્બ ઝીંક્યા હતા. અહીં એકઠા થયેલા આતંકવાદીઓ અને તેમના ટ્રેઇનરો અલગ-અલગ મકાનમાં રોકાયા હતા અને IAF પાસે આની પાકી જાણકારી હતી.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની જીભ લપસી, આતંકવાદી સંગઠનના વડાને કહ્યો મસૂદ અઝહરજી
માહિતી મુજબ બાલાકોટમાં હાજર આતંકવાદીઓ અને તેમના ટ્રેઇનરોનાં નામ મુફ્તી ઉમર, મૌલાના જાવેદ, મૌલાના અસલમ, મૌલાના અજમલ, મૌલાના જુબેર, મૌલાના અબ્દુલ ગફુર કાશ્મીરી, મૌલાના કુદરુતુલ્લા, મૌલાના કાસિમ અને મૌલાના જુનૈદ છે. આ જાણકારી પરથી એટલું સ્પષ્ટ થાય છે કે જૈશનાં આ ઠેકાણાં પર મોટી સંખ્યામાં આતંકવાદીઓને તૈયાર કરવામાં આવી રહ્યા હતા.