21 February, 2020 05:26 PM IST | Mumbai Desk
એઆઇએમઆઇએમના નેતા વારિસ પઠાણે ભડકાઉ નિવેદન આપ્યું છે. ગુલબર્ગા રૅલીમાં વારિસ પઠાણે કહ્યું ‘મુસ્લિમોની સંખ્યા ૧૫ કરોડ છે પરંતુ આ ૧૫ કરોડ ૧૦૦ કરોડ પર ભારે છે, જો ૧૫ કરોડ સાથે આવી ગયા તો વિચારી લો ૧૦૦ કરોડનું શું થશે? પઠાણે સીએએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓને શેરની કહી હતી. ભીડને ઉકસાવતા તેમણે કહ્યું ‘હિન્દુઓને હલાવવા છે, મોદી-અમિત શાહની સત્તાને પાડવી છે? તો અવાજ એવો કરો કે અહીંથી નીકળે અને સીધા દિલ્હીની અંદર સંભળાય, વારિસે એમ પણ કહ્યું ‘અમે ઇંટનો જવાબ પથ્થરથી આપવાનું જાણીએ છીએ.’
વારિસ પઠાણ અહીં જ નહોતા રોકાયા, તેમણે કહ્યું ‘છાતી પર ગોળી ખાઇશું પણ કાગળ નહીં બતાવીએ. જે લોકો સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે તે લોકો આ દેશના બંધારણને બચાવવા નીકળ્યા છે. તે લોકો આ દેશના લોકતંત્રને બચાવવા નીકળ્યા છે અને તે લોકો આ દેશના સેક્યુલારિઝમને બચાવવા નીકળ્યા છે.’
વારિસ પઠાણે કહ્યું ‘આતંકી મદરેસામાંથી નહીં પણ આરએસએસમાંથી નીકળે છે. અંતે મહાત્મા ગાંધીને મારનાર ગોડસે કોણ હતો, કઈ શાખાનો હતો. ગુજરાતમાં મા-બહેનોની ઇજ્જત લૂંટી, તે કઈ શાખામાંથી આવે છે? જામિયા અને શાહીનબાગમાં જે બંદૂક લઈને ગયો તે કોની વાત સાંભળીને આવ્યો હતો અને કઈ શાખામાંથી આવ્યો?’
ભાષણના અંતમાં વારિસ પઠાણે ભીડને આઝાદીનું મહત્વ જણાવતા કહ્યું આપણે ૧૦૦ કરોડ હિન્દુઓ પર ભારે પડવું છે, તેની માટે મુસ્લિમોએ એકજૂટ થવાની જરૂર છે. તેમણે કહ્યું ‘આઝાદી લેવી પડશે અને જે વસ્તુ માગવાથી નથી મળતી, તેને છીનવવી પડે છે. હવે સમય આવી ગયો છે.
ઓવૈસી સભામાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા
એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની સભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા. જેને કારણે ભારે વિવાદ થયો છે. આ ઘટના બાદ રોષે ભરાઈને ઓવૈસીએ કહ્યું કે જો મને ખબર હોત કે અહીં આવા લોકો આવ્યા છે તો હું ક્યારેય અહીં ન આવ્યો હોત. ગઈ કાલે ઓવૈસી એક સભામાં પહોંચ્યા ત્યારે એક યુવતીએ ઊભી થઈને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા લાગી હતી. આ યુવતી અમૂલ્યા સામે દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેવો આ નારાનો અવાજ અસદુદ્દીનના કાને પડ્યો તેમણે તરત જ સ્ટેજ પર ઊભા થઈને તે યુવતીને નારેબાજી બંધ કરવા કહ્યું.