13 July, 2020 02:09 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સોમવારે એટલે કે આજે બપોરે ધોરણ બારનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 88.78 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. અહીં 97.67 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે બારમા ધોરણના પરિણામની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓ ઓફિશ્યલ વૅબસાઈટ cbseresults.nic.in. પર જોઈ શકશે.
બોર્ડે આપેલી માહિતી પ્રમાણે, આ વર્ષે 88.78 ટકા વિદ્યાર્થીઓ ધોરણ બારની CBSEની પરીક્ષામાં પાસ થયા છે. આ વર્ષે, પરીક્ષામાં ત્રિવેન્દ્રમ, બેંગલોર અને ચેન્નાઈ પ્રદર્શનના મામલે ટૉપ ત્રણમાં રહ્યાં છે. આ વર્ષે જ્યાં દિલ્હી ઝોનમાં 94.39% પરિણામ આવ્યું છે, ત્યાં વિદ્યાર્થીનીઓની ટકાવારી 92.15% રહી છે. આ વર્ષે વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતા 5.96% સારું પ્રદર્શન કર્યું છે.
બોર્ડે અધિકારિક પરિણામની જાહેરાત કરતા પહેલા કોઈ માહિતી આપી નોહતી. ગત વર્ષે પરિણામ બીજી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો છે. ગત વર્ષે બારમા ધોરણનું CBSEનું પરિણામ 83.4 ટકા આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી CBSEએ એકથી 15 જૂલાઈ સુધી થનારી 10માં અને 12માં ધોરણની બાકીની પરીક્ષાઓ રદ કરી દીધી છે અને એસેસમેન્ટ સ્કીમના આધારે રિઝલ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ પરિક્ષાઓ વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, 10માં અને 12માં ધોરણના પરિણામ 15 જૂલાઈ સુધી જાહેર કરી દેવા. ત્યારપછી CBSE બોર્ડે તેમની તૈયારીઓ વધારી દીધી છે.
બારમા ધોરણના વિદ્યાર્થીઓને ડિજિટલ લોકર દ્વારા માર્કશીટ આપવામાં આવશે. ડિજિટલ લોકરમાંથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેમણે digilocker.gov.inમાંથી ડાઉનલોડ કરવી પડશે. બોર્ડ તરફથી વિદ્યાર્થીઓને ડિજિલોકર ક્રેડેન્શિયલ્સ એસએમએસ દ્વારા આપવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરીને તેઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.