15 May, 2023 12:59 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાંથી ચારધામના ૨૭ યાત્રાળુઓને લઈને જતી એક બસ શનિવારે બપોરે દેહરાદૂનથી ૭૫ કિલોમીટરના અંતરે આવેલા તેહરી ગઢવાલ જિલ્લાના કૌડિયાલા વિસ્તારમાં પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટના વિશે જાણ થતાં તરત જ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એસડીઆરએફ) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૬ પૅસેન્જર્સને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે એકને ગંભીર ઈજા થઈ છે. એસડીઆરએફના ઇન્સ્પેક્ટર લલિતા નેગીએ કહ્યું હતું કે આ યાત્રાળુઓ કેદારનાથ ધામનાં દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. તેઓ સોનપ્રયાગથી હૃષીકેશ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ વ્હીલ પર કન્ટ્રોલ ગુમાવતાં અકસ્માત થયો હતો.
કેદારનાથમાં બરફ પડ્યો, યાત્રાળુઓને હવામાનની અપડેટ્સ મેળવવાની અપીલ કરવામાં આવી
ઉત્તરાખંડના કેદારનાથમાં ગઈ કાલે બરફ પડ્યો હતો. આ ધામનાં દર્શન કરવા જઈ રહેલા યાત્રાળુઓને પોલીસ દ્વારા હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જ તેમની જર્નીનું પ્લાનિંગ કરવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે યાત્રાળુઓને પોતાની સાથે છત્રી, રેઇનકોટ અને જરૂરી દવાઓ પણ લઈ જવાની સલાહ આપી છે. રુદ્રપ્રયાગનાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વિશાખા અશોક ભદાનેએ કેદારનાથથી એક ક્લિપ રિલીઝ કરી હતી જેમાં આ હિમાલયન મંદિર પર બરફ પડતો દેખાતો હતો.