લોકલ ટ્રેનમાં બોલાચાલી થતાં યુવકની થઈ હત્યા

22 November, 2021 09:50 AM IST  |  Mumbai | Agency

પોલીસ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે દીપક અને આરોપી લોકલ ટ્રેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી નીચે ઊતર્યા એ પહેલાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

લોકલ ટ્રેનમાં થયેલી તકરારને પગલે માનખુર્દ રેલવે સ્ટેશન પર શનિવારે ૨૯ વર્ષના એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બનાવ બન્યાના ૬ કલાકમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીની ધરપકડ કરી હતી. શનિવારે મળસકે રેલવે બ્રિજની સીડી પર ૨૯ વર્ષના દીપક ચંદ્રકાંત હીરેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે દીપક અને આરોપી લોકલ ટ્રેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી નીચે ઊતર્યા એ પહેલાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ પછી આરોપી દીપકનો પીછો કરી તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને નાસી છૂટ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૬એ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં, જેના આધારે આરોપીની ઓળખ નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં રહેતા હિસ્ટરીશીટર તરીકે થઈ હતી. પોલીસે ખારઘરના કોપરા ગામમાંથી તેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Mumbai mumbai news